‘આસુરી શક્તિઓ બોલાવી જાય છે’
દિનેશ પ્રસાદ ઉર્ફે દિનેશ પટેલે પહેલા વિડીયોમાં સનાતન ધર્મ વિશે બફાટ કર્યો હતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના રહેવાસી દિનેશ પ્રસાદ ઉર્ફે દિનેશ પટેલે પહેલા વીડિયોમાં સનાતન ધર્મ વિશે બફાટ કર્યો હતો અને હવે માફી માગી છે. તેણે ખુલાસો આપતા કહ્યુ છે કે, ‘મારા શરીરમાં બે વસ્તુઓ કામ કરે છે એક ભગવાન અને અસુર. આસુરી શક્તિઓ મારા શરીરમાં આવીને બોલાવી જાય છે. જ્યારે ભગવાનની વાત કરવાની હોય છે, ત્યારે આ અસુરી શક્તિઓ આવી મારી પાસે નેગેટિવ બોલાવી જાય છે. આચાર્ય દિનેશ પ્રસાદની પદવી માત્ર ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી સ્વરૂપ છે.’ આ વીડિયોમાં કથિત આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા છે કે, સનાતનના દેવી દેવતાઓને મંદિરમાંથી કાઢવાના છે આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે તેમજ સ્વામિનારાયણ ભગવાન સનાતનીઓથી કુરાજી થઇ ગયા છે. આપણે હવે કોઈ દેવી- દેવતા સાથે કોઈ લેવા દેવા રાખવાના નથી. આપણા ભગવાન હવે આખો ધર્મ અલગથી કરી રહ્યા છે. ભવિષ્યમાં સ્વામિનારાયણ મંત્ર સંપૂર્ણ પણે કામ કરતો બંધ થઇ જશે. જેથી હિંદુ ધર્મના એવા લોકો કે જે દેવી દેવતાને માનતા ન હોય તેમજ સનાતની સિવાય બધા ધર્મના લોકોને સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે.
આવા લોકો સમાજને બગાડે છે: સંત જ્યોતિર્નાથ
દિનેશ પ્રસાદના બફાટના વાયરલ થયેલા વિડીયો અંગે સનાતન ધર્મના સંત જ્યોતિર્નાથની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેઓ જણાવે છે કે, ‘જો સનાતનનો ભાગ નથી તો પ્રતિકો આપી દો. સનાતન ધર્મના પ્રતિકોને અમે આનંદથી લઈને બીજે સ્થાપિત કરીશુ. વાહિયાત વાત કરશો તો પ્રજા સબક શીખવશે. હવે સહનશક્તિની હદ આવી ગઈ છે. આવા કેટલાક લોકો સમાજને બગાડે છે.’
‘ભગવાનની આજ્ઞા સિવાય બધા સંપ્રદાયો બંધ થવાના છે’
આ સ્વામી એમ પણ બોલતા જણાય છે કે, બીજા અન્ય ધર્મના લોકોએ મને ફોન કરીને મારી પાસે આવો, તમારા દુ:ખ તેમજ રોગ બધું જ ભગવાન કાઢી આપશે. હવે સનાતન ધર્મવાળા કોઈએ પણ મારી બાજુ ફરકવાનું નથી. ભગવાનની આજ્ઞા સિવાય બધા સંપ્રદાયો બંધ થવાના છે અને આપણે મંદિરોમાંથી અન્ય દેવી-દેવતાઓને કાઢવાના છે.