RTO રાજકોટ દ્વારા ઈ-વાહનોને 1 કરોડથી વધુની સબસીડી અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
શહેરમાં વધતું પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણને નુકસાનીથી બચાવવા માટે હવે લોકો આગળ આવી રહ્યા છે. લોકોમાં હવે ઈ-વ્હીકલની ખરીદી વધી રહી છે. વધુમાં વધુ હવે ઈલેકટ્રીક વાહનો વેચાવા લાગ્યા છે અને રાજ્ય સરકાર પણ ઈલેકટ્રીક વાહનોનો વ્યાપ વધારવા પ્રોત્સાહનરૂપે જુદા-જુદા પ્રકારે સબસીડી આપી રહી છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ ઈલેકટ્રીક વ્હીકલ પોલીસે 2021 અંતર્ગત બેટરી સંચાલિત ટુ વ્હીલર પર મહત્તમ રૂા. 20,000, થ્રી વ્હીલર રૂા. 50,000 તેમજ ફોર વ્હીલર પર રૂા. 1,50,000 સુધીની સબસીડી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ આર.ટી.ઓ. દ્વારા તા. 1-7-2021થી તા. 4-5-2022 સુધીમાં 353 ટુ વ્હીલર અને 21 ફોર વ્હીલર મળીને કુલ 374 ઈ-વાહનોને રૂા. 1.02 કરોડની સબસીડી આપવામાં આવી હોવાનું આર.ટી.ઓ. અધિકારી પી. બી. લાઠીયાએ જણાવ્યું છે.
જે ઈ-વાહનધારકોએ તા. 1-7-2021 બાદ વાહન લીધેલ હોઈ તેમજ રાજ્ય સરકાર દ્વારા અપાતી અન્ય કોઈપણ પ્રકારની સબસીડીનો લાભ ન મેળવ્યો હોઈ તે વાહનધારક ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
સબસીડી માટે તૈયાર કરાયેલી પોલીસી મુજબ ટુ વ્હીલર વાહનની મહત્તમ ફેકટરી કિંમત રૂા. 1.5 લાખ, થ્રી વ્હીલરની રૂા. 5 લાખ તેમજ ફોર વ્હીલરની કિંમત રૂા. 15 લાખથી વધુ ન હોવી જોઈએ તેમજ બેટરીની ક્ષમતા કે.ડબલ્યુ.એચ. રૂા. 10 હજારના ગુણાંકમાં સબસીડી મળવા પાત્ર હોઈ છે