ડીજીસીએએ કહ્યું કે સ્પાઇસજેટ એરક્રાફ્ટ નિયમો, 1937 હેઠળ સુરક્ષિત, કાર્યક્ષમ અને વિશ્વસનીય હવાઈ સેવાઓ સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહી છે
સ્પાઇસજેટના વિમાનોની સતત નિષ્ફળતા બાદ બુધવારે કંટ્રોલર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા કારણ દર્શાવો નોટિસ પાઠવવામાં આવી છે. છેલ્લા 18 દિવસમાં ટેક્નિકલ ખામીની આઠ ઘટનાઓ બાદ DGCA દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2021માં DGCA દ્વારા સ્પાઇસજેટના ઓડિટમાં જાણવા મળ્યું હતું કે સ્પેર સપ્લાયરોને નિયમિત ધોરણે ચૂકવણી કરવામાં આવતી નથી, જેના કારણે સ્પેર્સની અછત સર્જાઈ હતી.
- Advertisement -
ડીજીસીએએ કહ્યું કે સ્પાઇસજેટ એરક્રાફ્ટ નિયમો, 1937 હેઠળ સુરક્ષિત, કાર્યક્ષમ અને વિશ્વસનીય હવાઈ સેવાઓ સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહી છે. વાસ્તવમાં, મંગળવારે દિલ્હી-દુબઈ ફ્લાઈટનું ઈંધણ ઈન્ડિકેટરમાં ખામી સર્જાયા બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
તે જ દિવસે, કંડલા-મુંબઈ ફ્લાઇટને મધ્ય હવામાં વિન્ડશિલ્ડમાં તિરાડ પડ્યા બાદ મહારાષ્ટ્રની રાજધાનીમાં લેન્ડ કરવામાં આવી હતી. મંગળવારે આ બે ઘટનાઓ સામે આવ્યા બાદ છેલ્લા 18 દિવસમાં સ્પાઈસ જેટના વિમાનમાં ટેક્નિકલ ખામીની 8 ઘટનાઓ સામે આવી છે. ડીજીસીએના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે, સ્પાઈસ જેટ એરલાઈન છેલ્લા ત્રણ વર્ષથી ખોટમાં ચાલી રહી છે. સસ્તી સેવા પૂરી પાડતી સ્પાઇસજેટને 2018-19માં રૂા. 316 કરોડ, 2019-2020માં રૂા. 934 કરોડ અને 2020-21માં રૂા. 998 કરોડનું નુકસાન થયું હતું. ઉડ્ડયન ક્ષેત્ર કોરોના રોગચાળામાંથી રિકવર કરી રહ્યું છે અને એવિએશન કન્સલ્ટિંગ ફર્મ CAPAએ 29 જૂનના રોજ જણાવ્યું હતું કે ભારતીય એરલાઇન્સની ખોટ 2021-22માં $3 બિલિયનથી ઘટીને 2022-23માં $1.4 અને 1.7 બિલિયનની વચ્ચે આવી શકે છે.