ટ્રસ્ટ પરિવાર દ્વારા લઘુરુદ્રયજ્ઞ અને જ્યોતપુજન કરવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.26
પ્રથમ જ્યોતિર્લંગ સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે. ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર વૈશાખ માસની માસિક શિવરાત્રિ પર સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવશ્રી યોગેન્દ્ર ભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતોઓ પાસે દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. અને આજે વૈશાખ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.
- Advertisement -
જ્યોત પૂજન-મહાપૂજા અને આરતી
જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવશ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ, ગીર સોમનાથ પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ સુશ્રી નીપાબેન રાવલ, સોમનાથ તીર્થના સ્થાનિક તીર્થ પુરોહિતશ્રીઓ સહિતના મહાનુભાવો તેમજ મોટી માત્રામાં ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારીશ્રી તેમજ તીર્થ પુરોહિતશ્રીઓ દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12 વાગ્યે મહાઆરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. “હરહર મહાદેવ, જય સોમનાથ”ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.



