સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ (NTA)ને નોટિસ જાહેર કરી છે અને CBI તપાસની માંગણી કરતી અરજી પર તેનો જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષા કથિત પેપર લીક અને અનિયમિતતા સંબંધિત અરજીઓ પર સુનાવણી શુક્રવારે (14 જૂન)હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ (NTA)ને નોટિસ જાહેર કરી છે અને CBI તપાસની માંગણી કરતી અરજી પર તેનો જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે એવા વિદ્યાર્થીઓને પણ નોટિસ પાઠવી છે જેમની અરજીઓ વિવિધ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને NTA દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર તેમનો જવાબ માંગ્યો છે.
- Advertisement -
NTAનો જવાબ જાણવો જરૂરી
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જવાબ દાખલ થયા બાદ આ મામલે આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે. સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલે કહ્યું કે.આ મામલો 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આવી સ્થિતિમાં કોર્ટે આ મામલે જલ્દી સુનાવણી કરવી જોઈએ. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે તેની ગંભીરતા સમજીએ છીએ. વકીલે વિદ્યાર્થીઓની આત્મહત્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાંભળીને કોર્ટે કહ્યું કે આવી ભાવનાત્મક દલીલો ન કરો, કાયદાની પ્રક્રિયાને અનુસરીને NTAનો જવાબ જોવો જરૂરી છે.
નોંધનિય છે કે, સુપ્રીમ કોર્ટ હવે NEET પર અત્યાર સુધી દાખલ કરાયેલી તમામ અરજીઓની સુનાવણી 8 જુલાઈએ કરશે. આ કેસની દૃષ્ટિએ 8મી જુલાઈ સૌથી મહત્ત્વની તારીખ બની ગઈ છે. NEET પરીક્ષાના કથિત પેપર લીકને લઈને દેશના ઘણા મોટા શહેરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. દિલ્હીના જંતર-મંતર ખાતે પેપર લીકના વિરોધમાં પ્રદર્શનકારીઓએ વિરોધ કર્યો હતો ત્યારે કોલકાતામાં વિકાસ ભવનની બહાર પણ દેખાવો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓના એક જૂથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું અને ‘ચોવીસ લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા જોઈએ છે, કૌભાંડો નહીં’ના સૂત્રોચ્ચાર કર્યા. વિદ્યાર્થીઓ કહે છે કે, અમે પરીક્ષા માટે ઘણી મહેનત કરી છે અને હવે અમને અમારી બેઠકો જોઈએ છે. NEETનું પરિણામ 4 જૂને જાહેર થયું હતું.
- Advertisement -
સરકારે કર્યો NEET પેપર લીકનો ઇનકાર
કેન્દ્ર સરકારે NEET UG પરીક્ષામાં પેપર લીક થવાના મુદ્દાને નકારી કાઢ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, અત્યાર સુધી NEET પરીક્ષામાં કોઈ ગેરરીતિ, ભ્રષ્ટાચાર કે પેપર લીક થવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. આને લગતા તમામ તથ્યો સુપ્રીમ કોર્ટ સમક્ષ છે અને હાલમાં તે વિચારણા હેઠળ છે. ભ્રમ ફેલાવવાના પ્રયાસરૂપે આ મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓની માનસિક શાંતિને અસર થાય છે. શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે NEET કાઉન્સેલિંગ શરૂ થવાનું છે. દરમિયાન પેપર લીકને રાજકીય મુદ્દો બનાવવો અયોગ્ય છે. આવું કરવું એ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરવા સમાન છે. સરકારનું ધ્યાન હંમેશા વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા પર રહ્યું છે.