ટંકારાના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ રજૂઆત અયોગ્ય: ભારતીય કિશાન સંઘ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય કિશાન સંઘ દ્વારા કરવામાં આવેલ રજુઆતમાં જણાવ્યા મુજબ, હાલના સમયમાં ખુબ ઠંડી હોવાના કારણે ખેડુતોને રાતના સમયે પાણી વાળવા જવામાં ખુબ મુશ્કેલી થાય છે. અમુક સમાચારો એવા પણ મળે છે કે જેમાં રાત્રીના સમય દરમિયાન પાણી વાળતા ખેડુતનુ મુત્યુ થયેલ હોય. ટંકારા તાલુકાના ધારાસભ્ય દ્વારા પણ બે દિવસ પહેલા આ બાબતે રજુઆત કરવામાં આવેલ છે પરંતુ તે બાબત પણ અમારી દ્રષ્ટિએ ગેરસમજ ઉભી થાય તેવી છે. અમારા ખ્યાલમાં આવ્યું તે મુજબ ધારાસભ્યએ એવી માંગણી કરેલ છે કે દિવસની પાળીમાં પુર્ણ રીતે દિવસના વિજળી મળે અને રાત્રીની પાળીમાં પુર્ણ રાત્રીની વિજળી મળે જે રજુઆત અયોગ્ય છે. રાત્રીએ વિજળી મળવાનો હવે પ્રશ્ન જ નથી સરકારે ખેડુતોને દિવસે વિજળી આપવા બાબત બાંહેધરી આપી છે. કોરોના પછી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સૌરભભાઇ પટેલ જ્યારે મોરબીમાં આવ્યા હતા ત્યારે તેઓએ મોરબી કિસાન સંઘને ખાતરી આપેલી હતી કે, આવતા ત્રણ વર્ષની અંદર ખેડુતોને સંપુર્ણ દિવસના વિજળી મળે તેવી વ્યવસ્થા ઉભી થઈ જશે તો હવે તે મુજબ હવે ત્રણ વર્ષનો સમય પણ થઈ ગયો હોય ખેડુતોને સંપુર્ણ વિજળી દિવસે આપવાની માંગ કરવામાં આવી છે.