ત્રણ દિવસ અગાઉ દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં પાસ થયા બાદ આજે આ બિલને રાજ્યસભામાં રજૂ કરાશે. આ બિલને લઈને આજે રાજ્યસભામાં હોબાળો થવાની પૂરી શક્યતાઓ છે.
લોકસભામાંથી પસાર થયા બાદ દિલ્હી સર્વિસ બિલ (ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) બિલ) સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. અહીં પણ બહુમતી મોદી સરકારની તરફેણમાં છે, પરંતુ આ બિલને લઈને હોબાળો થવાની પૂરી શક્યતાઓ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના રાજ્યસભાના સાંસદોને સોમવારે સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. આ બિલનો ઉદ્દેશ્ય દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ અંગેના વર્તમાન વટહુકમમાં સુધારો કરવાનો છે, જેને પસાર કરવા માટે બહુમતી માટે 119 સાંસદોની જરૂરી પડશે.
- Advertisement -
કેજરીવાલને મોટો ઝટકો
રાજ્યસભામાં આ બિલ રજૂ થાય તે પહેલા જ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે પહેલા બસપાએ દિલ્હી સેવા બિલ પર આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત કરી હતી, પરંતુ બસપાએ લોકસભા અને રાજ્યસભામાં વોટિંગ દરમિયાન બહિષ્કારની જાહેરાત કરી છે. બીજી તરફ ઓડિશાની સત્તારૂઢ બીજેડી અને ટીડીપીએ આ બિલ પર કેન્દ્ર સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અગાઉ, YSR પણ કેન્દ્રને સમર્થન આપવાની વાત કરી ચૂકી છે.
આજે રાજ્યસભામાં હોબાળો મચાવી શકે છે વિપક્ષ
નેશનલ કેપિટલ ટેરિટરી એડમિનિસ્ટ્રેશન (સુધારા) બિલને લઈને એનડીએ સરકાર અને વિપક્ષ ‘INDIA’ના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. લોકસભામાં બિલ પસાર થયા બાદ હવે વિપક્ષ રાજ્યસભામાં તેના પર હોબાળો મચાવી શકે છે. હાલમાં રાજ્યસભામાં સંસદ સભ્યોની સંખ્યા 238 છે. 7 સીટો ખાલી છે. રાજ્યસભામાં ભાજપના 92 સાંસદો છે. એનડીએ ગઠબંધનમાં સામેલ AIADMKના 4 સાંસદો અને અસમ ગણ પરિષદ, મિઝો નેશનલ ફ્રન્ટ, NPP, PMK, RPI(A), TMC(M) અને UPPLના 1-1 સાંસદો ઉમેરાતા આ આંકડો 103 સુધી પહોંચી જાય છે.
પ્રફુલ પટેલનું પણ ભાજપને મળશે સમર્થન
ભાજપને એક અપક્ષ અને પાંચ નામાંકિત સાંસદોનું પણ સમર્થન મળવાની અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે ભાજપને એનસીપી (અજિત પવાર જૂથ)ના રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલનું સમર્થન મળશે. સાથી પક્ષો અને અપક્ષો સહિત ભાજપના સાંસદોની આ સંખ્યા વધીને 110 થઈ ગઈ છે. આ સિવાય આ બિલ પર YSR, BJD કેન્દ્રના સમર્થનમાં છે. BJD અને YSR કોંગ્રેસના રાજ્યસભામાં 9-9 સાંસદો છે. એટલે કે રાજ્યસભામાં એનડીએનું કુલ સંખ્યાબળ 128 છે, જેના કારણે બિલ સરળતાથી પસાર થઈ જશે.
- Advertisement -
વિપક્ષી પાર્ટીઓ પાસે કેટલા છે રાજ્યસભા સાંસદ?
વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ‘INDIA’ની પાસે 109 સાંસદ છે. 26 પાર્ટીઓના ગઠબંધનવાળા ‘INDIA’ના કુલ 98 સભ્યો ગૃહમાં છે. એકલા કોંગ્રેસની પાસે 31 સાંસદો છે. આમ આદમી પાર્ટીની પાસે 10 અને ડીએમકેના 10 સભ્યો છે. ટીએમસી પાસે 13 અને આરજેડી પાસે 6 સભ્યો છે. CPI(M) અને JDU પાસે 5-5 સભ્યો છે. એનસીપી પાસે ચાર અને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) પાસે ત્રણ સાંસદ છે. જેએમએમ અને સીપીઆઈ પાસે 2-2 સાંસદ છે. IUML, કેરળ કોંગ્રેસ (M), RLD અને MDMKની પાસે 1-1 સાંસદ છે. નાના પક્ષોને ઉમેરીને પણ વિપક્ષ 109નો આંકડો પાર કરી શક્યું નથી. એકંદરે આ બિલ રાજ્યસભામાં સરળતાથી પસાર થશે એટલું જ નહીં સંખ્યાબળ પણ 128ને પાર કરી જશે