કોણ કોના આંસુ લૂછે એવી સ્થિતિ, ગામમાં ક્યાંય ના સળગ્યો ચૂલો
ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગરના તળાજાના દિહોર ગામથી 57 યાત્રાળુને ભરીને ચાર દિવસ પહેલાં કાર્તિક ટૂર એન્ડ ટ્રાવેલ્સની બસ મથુરાની યાત્રા માટે નીકળી હતી. બાર દિવસના પ્રવાસે નીકળેલી બસના પ્રવાસના ચોથા દિવસે સવારે બસને અકસ્માત નડ્યો હતો. રાજસ્થાન નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બનતાં 12 લોકોનાં મોત થયાં છે, જેમાં 10 મૃતક તો એક જ ગામના છે. ત્યારે આજે એમ્બ્યુલન્સ મારફત મૃતદેહોને વતનમાં લાવવામાં આવ્યા હતા. જ્યા અંતિમયાત્રામાં 10 હજારથી વધુ લોકો જોડાયા હતા. જ્યારે દિહોરમાં એકસાથે 10 ચિતાઓ સળગતા કોણ કોના આંસુ લુછે એવી સ્થિતિ સર્જાય છે.
અકસ્માતમાં અવસાન પામેલા યાત્રીઓના મૃતદેહને આજે વતનમાં લાવવામાં આવ્યા છે. આ અકસ્માતમાં દિહોર ગામના 10 લોકોનાં મોત થયાં છે. ભાવનગર શહેરની એક મહિલા અને દિહોરના અન્ય મૃતક યાત્રીઓની વતનમાં અંતિમવિધિ કરવામાં આવી રહી છે. હાલ તો સમગ્ર દિહોર ગામમાં શોકનો માહોલ છવાયો છે.
એમ્બ્યુલન્સ મારફતે 12 મૃતદેહને માદરે વતન દિહોર ખાતે સરકારી શાળામાં લવાયા છે. તમામ મૃતક યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ પાઠવવા હિન્દૂ- મુસ્લિમ સમાજના 10 હજારથી વધુ લોકો એકત્રિત થયા છે. મોટી સંખ્યામાં પરિવારજનો અને મહિલાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી. શ્રદ્ધાંજલિ બાદ તમામ મૃતકોની અંતિમયાત્રાની ક્રિયા કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ માતા- પિતાની છત્રછાયા ગુમાવી છે.
એકસાથે 10 ચિતાઓ સળગતા ભાવેણું હિબકે ચડ્યું હતું. કોણ કોના આંસુ લુછે એવી સ્થિતિ સર્જાય હતી. પરિવારજનોનું હૈયું હચમચાવી દેતું આક્રંદ જોવા મળ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા છે. હાલ તો દિહોર ગામમાં શોકનો માહલો છવાયો છે. ગામમાં ક્યાંય ચૂલો પણ સળગ્યો નથી. તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે જણાવ્યું કે, જ્યારથી આ ઘટનાના સમાચાર મળ્યા છે ત્યારથી અમે સતત સંપર્કમાં હતા. વહેલી તકે ઈજાગ્રસ્તોને સારવાર મળે, તેમજ મૃતદેહો વહેલી તકે વતનમાં પહોંચે તે માટે મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રીએ ત્યાંથી જ સૂચનાઓ આપી હતી. બને એટલી ઝડપી સહાય મળે તેવા પ્રયાસો કરાયા છે. આ ઘટના ખૂબ જ દુ:ખદ બાબત છે, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, તેમનાં પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે અને મૃતકોની આત્માને શાંતિ મળે.
આ દુ:ખદ ઘટના અંગે હકીકત એવા પ્રકારે છે કે તળાજા તાલુકાના દિહોર ગામે રહેતા અને ખેતી તથા મજૂરીકામ સાથે સંકળાયેલા શ્રદ્ધાળુઓ ગામમાં આવેલા બજરંગદાસબાપાની મઢુલી-આશ્રમમાં મંડળ ચલાવે છે, આ મંડળના સભ્યોએ દિહોર ગામેથી જ મથુરા સુધી 12 દિવસ યાત્રાનું આયોજન કર્યું હતું અને ગત તા.9 સપ્ટેમ્બરે રાત્રે ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સની બસ ભાડે કરી નીકળ્યા હતા, જેમાં ગુજરાત બોર્ડર પાર કરી રાજસ્થાનમાં નાથદ્વારા સહિત પુષ્કર સહિતનાં ધાર્મિક સ્થળોએ દર્શન-પૂજન કરી ગત મોડી રાત્રે રાજસ્થાનથી આગળની યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું.



