ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ માસના ચોથા સોમવારે 4 વાગ્યે મંદિરના દ્વારા ખુલતા ભક્તોનો માનવ સમુદાય ઉમટી પડ્યો હતો. ભક્તોના જય સોમનાથ ના નાદ થી મંદિર ગુંજી ઉઠ્યું હતું. સોમનાથ મહાદેવને પ્રાત: પીતાંબર અને પુષ્પોનો શ્રુંગાર કરવામાં આવ્યો હતો.ત્યારબાદ પાલખીયાત્રામાં સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા ને પુષ્પહાર થી શણગારવામાં આવી હતી. આ પ્રસંગે પાલખી પૂજન જીલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે ,જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટીવ ઓફીસર દિલિપભાઇ ચાવડા દ્વારા કરવામાં આવેલું હતું. સાંજે મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો.શ્રાવણના પવિત્ર દિવસે વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવેલ, પ્રભાસ પાટણ માં વૈષ્ણવોની 84 પૈકી 65 મી બેઠકજી આવેલ છે, જ્યા ભગવાન સોમનાથ વલ્લભાચાર્ય પાસે શ્રીમદ્ભાગવતજી નુ શ્રવણ કરતા હતા, આ પાવન ભૂમિ હરિહર ની છે, જ્યા ભક્તો હરિ અને હર ને ખુબ ભાવપુર્ણ રીતે પૂજે છે.શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભગવાન શિવનો પ્રીય શ્રાવણ માસ અને શ્રી કૃષ્ણ ના પ્રીય અગીયારસ પર્વે વૈષ્ણવ શૃંગાર કરવામાં આવેલ હતો. શ્રાવણના ચતુર્થ એવં અંતિમ સોમવારે 28 ધ્વજાપુજા, 41 સોમેશ્વર મહાપુજા, અને મહામૃત્યુંજય યજ્ઞનો લાભ 1129 જેટલા શિવભક્તોએ લીધેલો હતો, જેમા આજ રોજ 23,709 યજ્ઞ આહુતિ મહામૃત્યુંજય યજ્ઞની આ પાવન ભૂમિ માં આપવામાં આવી હતી. જેમાં આજદિન સુધી 12,800 થી વધુ ભક્તોએ લાભ લીધો હતો.