વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના અધિકારીઓ સાથે કમોસમી વરસાદ અને નુકસાની સર્વેની કામગીરીની સમીક્ષા કરી
તાત્કાલિક સર્વે પૂર્ણ થાય તે માટે 44 ટીમોનું ગઠન કરવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સુચના અને માર્ગદર્શન અન્વયે કમોસમી વરસાદની સ્થિતિમાં સરકાર ખેડૂતોની સાથે છે અને ખેડૂતોને સહાયરૂપ બનવા માટે ખેતીવાડી સાથે સંલગ્ન તંત્ર હાલ ફિલ્ડમાં છે. પોરબંદર જિલ્લામાં પણ કમોસમી વરસાદ થયો છે અને ગઈકાલના વરસાદથી ખેતી પાકો પ્રભાવિત થયા છે. પોરબંદરના ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. મંત્રીએ ખેડૂતોને ખાતરી આપી હતી કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં હાલ ખેડૂતોને સહાયરૂપ બનવા માટે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખેતીવાડી સાથે સંલગ્ન તંત્ર અને કર્મચારીઓ અધિકારીઓ ફિલ્ડમાં સર્વે કરી રહ્યા છે. સરકાર સંવેદનાપૂર્વક કામ કરી રહી છે. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ આજે તાર. 1 નવેમ્બર,2025 જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને ખેતીવાડી સાથે સંલગ્ન અધિકારીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સુપરવિઝન કરતા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.
- Advertisement -
આ બેઠકમાં મંત્રીએ સમગ્ર જિલ્લાની સ્થિતિ, વરસાદ, ખેતી પાકો અસરગ્રસ્તની માહિતી, જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા પાકો અને ખેડૂતોના મંતવ્યો, રાજ્ય સરકાર દ્વારા સૂચના મુજબની કાર્યવાહીનું જિલ્લા કક્ષાએ અમલીકરણ જરૂર પડે વહીવટી પ્રક્રિયા મંજૂરીઓમાં વહીવટી ઢીલ રાખ્યા વગર અગ્રતાના ધોરણે કામગીરી સહિતના મુદ્દે વિગતવાર સમીક્ષા કરી હતી અને જિલ્લામાં સર્વેની કામગીરી માટે બનાવવામાં આવેલી 44 ટીમો માર્ગદર્શન મુજબ સંપૂર્ણ કામગીરી કરે તે માટે સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. એ.ત્રિવેદીએ જિલ્લાની સ્થિતિ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કલેક્ટર એસ.ડી.ધાનાણીએ પણ કરવામાં આવી રહેલી કામગીરી અંગે માહિતી આપી હતી. મ્યુનિસિપલ કમિશનર, એસ.પી,અધિક કલેકટર, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક બાદ મંત્રીએ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર આ સ્થિતિમાં ખેડૂતોની પડખે ઊભી છે.
જ્યાં ખેતી પાકોને નુકસાન થયું છે તેમને મદદરૂપ થવા માટે ધારાધોરણ મુજબ ચોકસાઈ ભરી કામગીરી થાય અને ખેડૂતોને મદદ મળી રહે તે દિશામાં સંપૂર્ણ તંત્ર કામ કરી રહ્યું છે તેમ જણાવ્યું હતું.



