પાકિસ્તાનના ચૂંટણી પંચે અવમાનનાના એક કેસમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમના પક્ષના અન્ય ટોચના નેતાઓ વિરુદ્ધ જામીન પાત્ર ધરપકડ વોરન્ટ જારી કર્યુ છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
આ કેસ પાકિસ્તાન તેહરીકે ઇન્સાફ (પીટીઆઇ)ના ટોચના નેતાઓ દ્વારા ઇલેકશન કમિશન ઓફ પાકિસ્તાન (ઇસીપી) અને મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રાજા વિરુદ્ધ આપેલા નિવેદન સાથે સંકળાયેલો છે.
નિસાર દુર્રાનીના નેતૃત્ત્વવાળી ચાર સભ્યોની બનેલી ઇસીપીની ખંડપીઠે ઇમરાન ખાન અને તેમના નજીકના સાથીઓ ફવાદ ચૌધરી અને અસદ ઉમર વિરુદ્ધ વોરન્ટ જારી કર્યા છે.
ચૂંટણી પંચે આ અગાઉ ગયા વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અવમાનનાની પોતાની શક્તિઓનો ઉપયોગ કરી તેમની વિરુદ્ધ નોટિસ જારી કરી હતી. તે વખતે પીટીઆઇ નેતાઓએ વારંવાર ઇસીપી અને સિકંદર સુલાતાન રાજા વિરુદ્ધ પક્ષપાતપૂર્ણ નીતિ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન)નું સમર્થન કરવાનો દાવો કર્યો હતો.
પાક. ચૂંટણી પંચે ઇમરાન ખાન સામે ધરપકડ વોરન્ટ જારી કર્યુ
