ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે પોતાની વ્યૂહનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ગુજરાતની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 262 તાલુકા પંચાયત અને 83 નગરપાલિકાઓની લગભગ 10,000 જેટલી બેઠકો પર આ ચૂંટણીઓ યોજાવાની છે, જે ગુજરાતના 95% વિસ્તારને આવરી લે છે. કોંગ્રેસ પક્ષે આ માટે સંગઠન સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી છે અને આગામી 11 માર્ચથી 20 માર્ચ સુધી આખા ગુજરાતમાં સંભવિત ઉમેદવારોને રૂબરૂ સાંભળવાની અને પેનલ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વખતે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં પ્રદેશ સમિતિનો સીધો હસ્તક્ષેપ નહીં રહે અને સ્થાનિક કક્ષાની સમિતિઓ જ ઉમેદવારોના નામ નક્કી કરશે તેવી મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે.
50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક
- Advertisement -
અમિત ચાવડાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગી અંગે જણાવ્યું કે, આ વખતે કોંગ્રેસ પક્ષ 50% બેઠકો પર 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને પ્રાથમિકતા આપશે. પક્ષનો ઉદ્દેશ્ય શિક્ષિત, સક્ષમ અને પ્રજાની વચ્ચે રહીને પ્રમાણિકતાથી કામ કરનારા લોકોને રાજકારણમાં લાવવાનો છે. ખાસ કરીને મહિલાઓ, SC, ST અને OBC વર્ગના સક્ષમ ઉમેદવારોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નોને મજબૂતીથી વાચા આપી શકે.
ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને પારદર્શિતા લાવવા માટે કોંગ્રેસે 15 મહાનગરપાલિકાઓ માટે એક ઓનલાઇન પ્લેટફોર્મ અને QR કોડ પણ જાહેર કર્યો છે. જે કોઈપણ શિક્ષિત કે સેવાભાવી વ્યક્તિ જાહેર જીવનમાં આવીને કામ કરવા માંગતી હોય, તે આ QR કોડ સ્કેન કરીને પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. આ પ્રક્રિયા દ્વારા કોંગ્રેસ એવા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવા માંગે છે જેઓ ભ્રષ્ટાચાર સામે લડવા અને પ્રજાલક્ષી વહીવટ આપવા માટે કટિબદ્ધ હોય.
ભ્રષ્ટાચાર અને બોગસ મતદાર યાદીના મુદ્દે કોંગ્રેસ ભાજપને ઘેરશે
- Advertisement -
આ ઉપરાંત મતદાર યાદીમાં થયેલા મોટા ફેરફારો અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની મતદાર યાદીમાં વર્ષોથી મોટાપાયે ગોટાળા અને વોટ ચોરી ચાલતી હતી. SIRની પ્રક્રિયા બાદ જે નવી યાદી બહાર પડી છે, તેમાં આશરે 70 લાખ જેટલા બોગસ કે ડુપ્લીકેટ મતદારોના નામ કમી થયા છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે છેલ્લા 20 વર્ષથી ભાજપ શાસન આ પ્રકારની ખામીયુક્ત મતદાર યાદીના આધારે જ ચૂંટણીઓ જીતતું આવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, હાલની સરકાર 30% કમિશનની સરકાર છે અને જ્યાં સુધી કમલમમાં કમિશન ન પહોંચે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવતા નથી. આ ભ્રષ્ટાચારનું પરિણામ પ્રજા ભોગવી રહી છે, કારણ કે પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે અને નવી બનેલી પાણીની ટાંકીઓ ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડે છે. ટેક્સ ભરતા સામાન્ય નાગરિકોને શુદ્ધ પાણી, સારા રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે ભાજપ શાસકો પ્રજાના પૈસાની લૂંટ ચલાવી રહ્યા છે.
તેમણે એવું પણ કહ્યું કે, સમાજના વિવિધ વર્ગો જેવા કે લારી-ગલ્લાવાળા, રિક્ષા ચાલકો અને જેમના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા છે તેવા પીડિત પરિવારોના પ્રતિનિધિઓને પણ આ વખતે તક આપવામાં આવશે. મહાનગરોમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા ચહેરાઓને અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા સર્વસંમતિથી નક્કી કરાયેલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવશે. ભાજપના શાસનથી પીડાતા અને અન્યાય અનુભવતા જનતાના આક્રોશને હવે પરિવર્તનમાં બદલવા માટે કોંગ્રેસે કમર કસી છે.




