પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ સાથે લીંકઅપ માટે પણ નાગરિકોનો ધસારો: નવી કીટ મૂકાવા છતાં ધસારો ઓછો ન થયો: કેટલાક અરજદારો કેન્દ્રમાં જ ઝોંકા ખાઇ લે છે!
ખાસ-ખબર સંવાદદાતા
મ્યુનિ. કોર્પોેરેશનના આધાર કાર્ડ કેન્દ્રોમાં થોડા દિવસોથી ફરી ભીડ વધી ગઇ છે. આજે પણ અરજદારોની સંખ્યા ખુબ વધતા લાંબી લાઇન લાગી હતી. તો અનેક લોકોને બબ્બે ત્રણ-ત્રણ કલાક બાદ આધાર કાર્ડ અપડેટ સહિતની કાર્યવાહી કરવાનો સમય મળ્યો હતો.
સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાનકાર્ડ લીંકઅપ કરવાની કામગીરી હજુ દંડ સાથે ચાલુ રાખવામાં આવી છે. બેન્કીંગ વ્યવહારો સહિતના કામો માટે બંને કાર્ડ લીંકઅપ હોવા જરૂરી છે. ગત વર્ષે નિયત સમયમર્યાદામાં લીંકઅપ માટે આધાર કાર્ડની વિગતો અપડેટ કરવા લોકોએ ધસારો કર્યો હતો. આ માટે પણ લાઇનો લાગતી હતી. હવે થોડા સમય પહેલા નવા આધાર કાર્ડ કેન્દ્રમાં વધુ કીટ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આધાર કાર્ડની કામગીરીની ક્ષમતા પણ વધી છે. પરંતુ આ કામ માટે ધસારો જ એટલો હોય છે કે કલાકો ટુંકી પડે છે. તેમાં પણ આજે બુધવારના કારણે પણ ભીડ વધુ હતી. આ કામ માટે નાગરિકોએ કયારેક એટલો સમય રાહ જોવી પડે છે કે ખુરશી પર સુઇ જવાની નોબત આવે છે!
હાલ બાકી રહી ગયેલા લોકો આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંકઅપ કરાવે છે. બંને કાર્ડમાં વિગતો એક સરખી હોવી અનિવાર્ય છે. આથી સરનામા, મોબાઇલ નંબર સહિતના કામ માટે અરજદારો વધુ આવી રહ્યા છે. હવે ચૂંટણી કાર્ડ સાથે પણ આધાર કાર્ડ લીંકઅપ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ માટે પણ અરજદારો આવી રહ્યા છે. આ સિવાય રાબેતા મુજબ આધાર કાર્ડમાં નામ સિવાયની વિગતોમાં અપડેટેશન કરાવવા લોકો નિયમિત આવતા હોય છે.
આધાર કાર્ડ અપડેટ થયા બાદ જ અન્ય દસ્તાવેજ સાથે લીંકઅપ થઇ શકે છે. હાલ રોજના 300 થી 400 જેટલા નાગરિકો ત્રણે ઝોનમાં આધાર કાર્ડની કામગીરી માટે આવતા હોય છે. નવી કીટ સાથે રોજની કામગીરીમાં વધારો પણ થયો છે. આમ છતાં નાગરિકોની ભીડ જ એટલી રહે છે કે લાઇનનો અંત આવતો નથી.
દરમ્યાન મનપા દ્વારા બિલ્ડીંગના વિસ્તૃતિકરણથી માંડી સ્વખર્ચે નવી કીટની વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ અન્ય વિભાગો કે બેંકોમાં આટલી સુવિધા અપડેટ કરાતી નથી. આધાર કાર્ડનું સૌથી વધુ કામ અગાઉ પોસ્ટ ઓફિસમાં થતું હતું. પરંતુ ત્યાંના અનુભવ બાદ લોકો કોર્પો.માં આવવાનું વધુ પસંદ કરે છે. ઘણી બેંકોમાં આ કામગીરી થાય છે પરંતુ ત્યાં નિયમિત સેવા નહીં મળતી હોવાની ફરિયાદ મળે છે. જિલ્લા સેવા કેન્દ્રમાં પણ આધાર કાર્ડની સુવિધા વધુ લોકભોગ્ય બનાવવાની જરૂરીયાત હોવાનો મત છે.
મહાપાલિકા સિવાયની તમામ જગ્યાએ કલેકટર આધાર કાર્ડ નોંધણીથી માંડી સુધારાની કામગીરી સુચારૂ બનાવી શકે છે.
- Advertisement -
હવે શકય હોય ત્યાં સુધી ઘણા લોકો ઓનલાઇન કામગીરી કરે છે. પરંતુ આ વર્ગ નાનો છે, અમુક સુધારા રૂબરૂ કરાવવા પડે છે. આથી તમામ કચેરીઓ યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવે તે જરૂરી છે.