ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામે માનવભક્ષી દીપડાએ વૃધ્ધાને ફાડી ખાધાની ઘટનાના પગલે કોડીનાર પંથકના ગ્રામજનોમાં રોષ પ્રવર્તેલો છે. દરમિયાન આજે કોડીનાર સરપંચ એસોશીએશન એ મેદાનમાં આવીને હિંસક દીપડાઓના ત્રાસમાંથી છુટકારો અપાવવા માટે મામલતદારને રોષપૂર્ણ આવેદનપત્ર આપીને હિંસક દીપડાઓને મારી નાંખો નહીંતર ખસી કરણ કરવાની કામગીરી સત્વરે કરાવવા માંગણી કરી હતી. ગ્રામજનો અને ખેડૂતોને સતત હુમલાનો ભયથી કોડીનાર ખાતે તાલુકાભરના સરપંચો એકત્ર થઈને એક જ સુરે હિંસક દીપડાઓની જાતિ નષ્ટ-નાબુદ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર મામલતદારને પાઠવેલ હતુ. હાલ કોડીનાર પંથકના અનેક ગામોમાં હિંસક દીપડાઓ વસવાટ કરી રહ્યાં હોવાથી ગ્રામજનો અને ખેડૂતોને સતત હુમલાનો ભય સતાવી રહ્યો છે. પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે સિંહ અને દીપડાઓ ચડી આવે છે. જ્યારે વાડી વિસ્તારોને આ વન્યપ્રાણીઓ પોતાનું રહેઠાણ બનાવી પડ્યા પાથર્યા રહે છે.દીપડાની સત્વરે ખસીકરણ કરવાની માગ વધુમાં સરપંચોનું કહેવું છે કે, જંગલનો રાજા સિંહ રોયલ પ્રાણી હોવાના કારણે હુમલા ન કરતો હોવાથી તેનાથી અમોને (ખેડુતો) ને ડર લાગતો નથી. પરંતુ હિંસક દીપડાઓ હવે ન જ જોઈએ. હાલ કોડીનાર પંથકના આલિદર, ઘાટવડ, આનંદપુર અને દેવલપુર સહિતના ગામોમાં હિંસક દીપડાઓનો કાયમી વસવાટ હોવાથી ગ્રામજનોમાં ભય પ્રસર્યો છે. સરકારે ખેડૂતોને દિવસમાં વિજળી આપતા મોટી રાહત તો મળી જ છે, પરંતુ સમસ્યા એ છે કે રાત્રીના સમયે નીલગાય, ભુંડ અને રોઝ જેવા પ્રાણીઓથી ખેતરોમાં લહેરાતા પાકોને બચાવવા માટે રખોપુ કરવા જવું ફરજીયાત બન્યુ હોવાના કારણે ખેડુતોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેથી અમારા પંથકને હિંસક દીપડાઓના ત્રાસમાંથી કાયમી માટે છુટકારો મળે અને સત્વરે ખસીકરણ કરવાની કામગીરી કરાવવા માંગણી કરી છે.