જાણો વાક્ બારસથી લાભ પાંચમ સુધીના તહેવારનું શું છે મહત્વ, શા માટે દિવાળીના ઉત્સવો હોય છે ખાસ?
સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
ભારત તહેવારોના દેશ તરીએ ઓળખાય છે. એમાં પણ અલગ-અલગ પ્રદેશોમાં થતી વિવિધ તહેવારોની ઉજવણી આપણું ધ્યાન આકર્ષિત કરે છે. અમુક તહેવારો એવા હોય છે જે દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તેમાંનો એક તહેવાર છે દિવાળી. દિવાળીનો તહેવાર ક્યારેય એકલો નથી આવતો, તે તેની સાથે અનેક તહેવારોની હારમાળા લઈને આવે છે. એમ જોવા જઈએ તો શ્રાવણ મહિનાની શરૂઆતથી જ તહેવારોનો ધમધમાટ શરૂ થઈ જાય છે પણ તેમાં પણ દિવાળીના તહેવારોનું મહત્વ અનેરું છે. વાક બારસથી શરૂ થતા દિવાળીના તહેવારો છેક લાભ પાંચમે આવીને પૂર્ણ થાય છે. એમાં પણ વિવિધ પ્રદેશોમાં ઓછા-વત્તા પ્રમાણમાં ભિન્નતા જોવા મળે છે. જેમ કે દેશભરમાં લાભ પાંચમે દિવાળી તહેવારો પૂર્ણ થાય છે પણ ગુજરાતમાં દેવ દિવાળી છેલ્લો તહેવાર ગણાય છે. જેને દેવોત્થાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દર વખતની જેમ આ વખતે પણ સનાતન પરંપરામાં આવતા તહેવારો શા માટે ઉજવાય છે એ વિશેની માહિતી આપવાનો અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે. તો આપણે પ્રથમ વાઘ બારસથી શરૂઆત કરી લાભ પાંચમ સુધીના તમામ દિવાળીના તહેવારોનું મહત્વ જાણીશું.
- Advertisement -
વાક્ બારસ
સનાતન પરંપરામાં આવતા તહેવારોની એક ખાસ વિશેષતા હોય છે, તે તમામ તહેવારો પ્રકૃતિ સાથે સંકળાયેલા છે. એ ઉપરાંત તેમાં વૈજ્ઞાનિક અભિગમ પણ ભરપૂર જોવા મળે છે. આવા તહેવારોની હારમાળા સનાતન ધર્મને અન્ય પંથો કરતા અલગ અને વિશેષ બનાવે છે. આસો મહિનાની શુક્લપક્ષની બારસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થાય છે. જેને આપણે વાક્ બારસ તરીકે ઓળખીએ છીએ. વાક્ બારસના દિવસે જ ગુજરાતના વેપારીઓ પોતાના તમામ કામો આટોપી લે છે. વર્ષ આખાના જૂની લેવડદેવડના બધા ચોપડાના હિસાબો તેઓ આ દિવસે પતાવે છે. આ ઉપરાંત તેઓ આગામી ત્રણ દિવસ સુધી કોઈપણ નાણાકીય લેવડ-દેવડ કરતા નથી. વાક્ બારસ આમ જોવા જઈએ તો હિંદુ સમાજના આદિવાસીઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે. વાક્ બારસના દિવસે વનવાસી લોકો વાક્ને દેવ માની તેનું પ્રતિકાત્મક પૂજન કરે છે. આપણી પરંપરા એટલી સહિષ્ણુ અને શુદ્ધ છે કે આપણે હિંસક પ્રાણીઓની પણ પૂજા કરીએ છીએ. વાક્ બારસને દિવાળીના તહેવારોનું પ્રથમ પગથિયું પણ ગણવામાં આવે છે. આ ઉપરાંત વાક્ બારસને ‘ગૌવત્સ દ્વાદશી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતા એવી છે કે બારસના દિવસે જ ક્ષીર સાગરમાંથી ગૌમાતા ઉત્પન્ન થયા હતા. વૈદિક પરંપરા અનુસાર ગૌવંશમાં 33 કોટી (કરોડ નહીં) દેવતાઓનો વાસ હોય છે. આ કારણે હિંદુઓ આ દિવસે ગૌમાતા અને ગૌવંશ તરીકે વાછરડાની પૂજા કરે છે.