ડબલ ઋતુના અનુભવ વચ્ચે ખાનગી દવાખાનામાં પણ લાઇન : ચીકનગુનીયા પણ આઉટ થતો નથી!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
- Advertisement -
રાજકોટ શહેરમાં ચોમાસા બાદ શિયાળો પણ પસાર થઇ રહ્યો છે ત્યારે રોગચાળાની સ્થિતિમાં નવી સિઝનમાં પણ કોઇ ફર્ક પડતો હોય તેવું લાગતું નથી. શહેરમાં છેલ્લા અઠવાડિયામાં ફરી રોગચાળાના 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં શરદી, ઉધરસના વાયરા યથાવત છે. તો ચીકનગુનીયા પણ હજુ ફેલાયેલો હોવાનું પણ લાગી રહ્યું છે. આરોગ્ય અને મેલેરીયા શાખાએ આજે તા.11-3થી 17-3 સુધીનો રોગચાળાનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ સપ્તાહમાં મચ્છરજન્ય મેલેરીયા અને ડેંગ્યુના કોઇ કેસ આવ્યા નથી પરંતુ ચીકનગુનીયાનો એક દર્દી નોંધાયો છે. પુરા વર્ષમાં મેલેરીયાનો એક, ડેંગ્યુના આઠ અને ચીકનગુનીયાના 12 કેસ નોંધાયા છે.
આ અઠવાડિયામાં ફરી શરદી, ઉધરસના કેસ ચાર આંકડામાં જ છે. આ દર્દીઓનો આંકડો 1163, સામાન્ય તાવના 184 તથા ઝાડા-ઉલ્ટીના 223 મળી કુલ 1570 નવા કેસ આવ્યા છે. સપ્તાહમાં વાહક નિયંત્રણ કામગીરી હેઠળ 816ર ઘરમાં પોરાનાશક અને 1091 ઘરમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે. વધુ ઉપદ્રવવાળા વિસ્તારોમાં હવે વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા કામ કરાવવામાં આવે છે. મચ્છર ઉત્પતિમાં બેદરકારી અંગે 1128 સ્થળે ચેકીંગ કરવામાં આવ્યું હતું. તે પૈકી 291 રહેણાક અને 212 કોમર્શિયલ મિલ્કતમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળતા આ આસામીઓને નોટીસ આપવામાં આવી છે. આ વર્ષે રાજકોટમાં શરદી, ઉધરસનો રોગચાળો કોઇ રીતે કાબુમાં આવતો નથી. ખાનગી દવાખાનાઓમાં પણ આ કેસની યાદી લાંબી છે. વળી આ વાયરસની અસર હવે બે-ચાર દિવસના બદલે અઠવાડિયું પણ રહે છે. હાલ ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે અને ઉનાળો શરૂ થયો છે ત્યારે દર્દીઓનો આંકડો ઘટતો નથી તે પણ હકીકત છે.