એસટી-રેલવે સ્ટેશને લોકોની પાંખી હાજરી, શહેરમાં મીની લોકડાઉન જેવો માહોલ
ખાસ-ખબર સંવાદદાતા
‘બિપરજોય’ વાવાઝોડાની અસર રાજકોટ શહેરમાં પણ જોવા મળી રહી છે. જેમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પણ પડી રહ્યા છે. બીજીતરફ અનેક ટ્રેનો તેમજ દરિયાકાંઠા વિસ્તારની બસો બંધ કરવામાં આવી હોવાથી લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. જ્યારે ઈન્ડિગો અને એરઇન્ડિયાની તમામ ફ્લાઈટો બંધ હોવાથી એરપોર્ટ બંધ છે. તો ગોલ્ડ ડિલર્સ એસો.નાં નિર્ણયને પગલે સોની બજાર પણ મહદઅંશે બંધ જોવા મળી રહી છે.
- Advertisement -
હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ તા.15 જૂનનાં રોજ બિપરજોય વાવાઝોડું કચ્છનાં દરિયા કાંઠે ટકરાય તેવી સંભાવના હોવાથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં આ સંભવિત વાવાઝોડાને લઈ ઈન્ડિગો-એર ઇન્ડિયાની બધી ફ્લાઈટ બંધ રાખવામાં આવી છે. આજે માત્ર રેસ્ક્યુ ઓપરેશન માટે જ એરપોર્ટ ખૂલ્લું રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક ટ્રેનો તેમજ બસો બંધ રાખવામાં આવી હોવાથી રેલવે સ્ટેશન તેમજ એસટી બસપોર્ટ ખાતે લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લોકોને વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. જેને પગલે અનેક ધંધાર્થીઓએ વેપાર બંધ રાખ્યા છે. જ્યારે ગોલ્ડ ડિલર્સ એસોસિએશન દ્વારા ગઈકાલે રાત્રે સોની બજાર બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેને લઇ સોનીબજાર પણ મહદઅંશે બંધ જોવા મળી હતી. તેમજ શાળા-કોલેજો પણ કાલેક્ટરનાં આદેશથી બંધ હોવાથી લોકોની ખૂબ ઓછી અવરજવર જોવા મળી રહી છે. મંદિરો-રસ્તાઓ-બગીચાઓમાં લોકોની પાંખી હાજરીને લઈને મીની લોકડાઉન જેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.