યેલ-સીવોટરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘણા ભારતીયોએ આબોહવા પરિવર્તન સંબંધિત વિવિધ અસરોનો અનુભવ કર્યો છે
વિશ્વમાં ચોથી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવેલા ભારતમાં છેલ્લા એક વર્ષમાં 38 ટકા ભારતીયોએ ભૂખમરાનો સામનો કર્યો હોવાનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે. આ ભૂખમરા પાછળનું કારણ પણ ચોંકાવનારું આબોહવા પરિવર્તન છે. આબોહવા પરિવર્તન હવે ફક્ત વિકસિત દેશોનો મુદ્દો નથી રહ્યો. તે ભારતના સામાન્ય લોકોના જીવનને અસર કરી રહ્યો છે. યેલ-સીવોટર સર્વે (ડિસેમ્બર 2024-ફેબ્રુઆરી 2025)માં આ દાવો કરવામાં આવ્યો છે.
- Advertisement -
ગરમીનો પ્રકોપ, ભૂખમરો જેવી અનેક સમસ્યાઓ
રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં 38% લોકોએ ખોરાકની અછત અથવા દુષ્કાળનો અનુભવ કર્યો હતો. ત્રણ ચતુર્થાંશ ભારતીયો ખોરાકની અછત વિશે ખૂબ જ અથવા મધ્યમ ચિંતિત છે. જેના માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. 60% લોકોએ ખેતીમાં જીવાતો અને રોગોનો સામનો કર્યો હતો. 2024 ભારતનું સૌથી ગરમ વર્ષ હતું. તાપમાન સામાન્ય કરતાં 0.65 ડિગ્રી વધુ હતું. 71 ટકા ભારતીયોએ ગયા વર્ષે ભીષણ ગરમીનો સામનો કર્યો છે. 59% લોકોએ વીજળી કાપ, 53% પ્રદુષિત પાણી, 52%એ દુષ્કાળ અને પાણીની અછત અને 52% લોકોએ ગંભીર વાયુ પ્રદૂષણનો સામનો કર્યો હતો. વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ભારત 13મા સ્થાને છે. 2024ના શિયાળામાં દિલ્હીમાં હવાનો ગુણવત્તા સૂચકાંક (AQI) 1000થી વધુ હતો, જે આરોગ્ય સંબંધિત કટોકટીનો સંકેત આપે છે.
ભારતમાં ખોરાકની અછત શા માટે છે?
- Advertisement -
વર્લ્ડ બૅન્ક અનુસાર, 2023 સુધીમાં, ભારતે અત્યંત ગરીબીમાં (૨.૧૫ ડૉલર પ્રતિ દિવસની આવક) 3.4%નો ઘટાડો કર્યો હતો. યેલ-સીવોટર સર્વે દર્શાવે છે કે, આબોહવા પરિવર્તનના કારણે ભારતમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. કૃષિમાં કીટકોના ત્રાસથી પાકમાં બીમારીનું પ્રમાણ વધ્યું હતું. જેના લીધે ઘણો પાક નષ્ટ થયો હતો. તેમજ વધુ પડતી ગરમી, પૂર, દુષ્કાળની સ્થિતિના કારણે પણ ખોરાકની અછત સર્જાઈ હતી. ગરીબીમાંથી બહાર આવેલા લોકો હજી પણ ભોજનની અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. સરકાર 80 કરોડ લોકોને મફત રાશન આપી રહી છે. જે આ સમસ્યાનીં ગંભીરતા દર્શાવે છે. વધુમાં 32% ભારતીયોએ ક્યારેય ગ્લોબલ વોર્મિંગ વિશે સાંભળ્યું નથી. આ દર્શાવે છે કે આબોહવા પરિવર્તન અને તેની સ્થાનિક અસરો વિશે જાગૃતિ વધારવાની જરૂર છે.
આબોહવા પરિવર્તનથી છૂટકારો મેળવવાના પ્રયાસો
નીતિ સમર્થન: 2023ના યેલ-સીવોટર સર્વે મુજબ, 86% ભારતીયો સરકારના 2070ના નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને સમર્થન આપે છે. 55% માને છે કે ભારતે તાત્કાલિક ઉત્સર્જન ઘટાડવું જોઈએ.
ઇલેક્ટ્રિક વાહનો (EV): ભારતીયો ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો અપનાવી રહ્યા છે. એવો અંદાજ છે કે 2030 સુધીમાં, EV વેચાણ દર વર્ષે 17 મિલિયન યુનિટ સુધી પહોંચી જશે.
ઊર્જા કાર્યક્ષમતા: 66% લોકો વધુ ઇંધણ-કાર્યક્ષમ વાહનોને સમર્થન આપે છે, ભલે તે ખર્ચમાં વધારો કરે. 77% લોકો ઇચ્છે છે કે ઇમારતો ઓછી ઉર્જા અને પાણીનો બગાડ કરે. 73% લોકોએ 2015ના પેરિસ આબોહવા કરારને સમર્થન આપ્યું છે.
ભારતમાં આબોહવા પરિવર્તન ખોરાક, પાણી અને હવાને અસર કરી રહ્યું છે. 38% ભારતીયો ખોરાકની અછત અને વધતી ગરમી, દુષ્કાળ અને પ્રદૂષણથી ચિંતિત છે. તેમ છતાં, ભારતીયો પર્યાવરણને બચાવવા માટે તૈયાર છે. જાગૃતિ વધારવા માટે સરકાર અને સમાજે સાથે મળીને કામ કરવું પડશે. આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે પગલાં લેવા પડશે.