ચીનનો વિક્ટ્રી ડે: બીજા વિશ્ર્વયુદ્ધમાં જાપાનની હારના 80 વર્ષ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બીજા વિશ્ર્વયુદ્ધમાં જાપાનની હારના 80 વર્ષ નિમિત્તે બુધવારે ચીનની રાજધાની બેઇજિંગમાં વિક્ટ્રી ડે પરેડ ઊજવવામાં આવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિયાનમેનમાં ભાષણ આપ્યું છે.
તેમણે કહ્યું કે ચીનને આગળ વધતા કોઈ રોકી શકે નહીં. તેમણે દુનિયાના દેશોને કહ્યું કે તેઓ યુદ્ધના મૂળ કારણોને ખતમ કરે અને જૂની દુ:ખદ ઘટનાઓનું ફરી પુનરાવર્તન થવા ન દે. રાષ્ટ્રપતિ જિનપિંગે પોતાના સંબોધનમાં અમેરિકાનું નામ લીધા વિના પોતાના ઇરાદા વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે ચીન કોઈની ધમકીઓથી ડરવાનું નથી અને તે હંમેશા આગળ વધતું રહે છે.
તેમણે કહ્યું કે આપણે એક જ ગ્રહ પર રહીએ છીએ, તેથી આપણે સાથે મળીને કામ કરવું જોઈએ અને શાંતિથી રહેવું જોઈએ. આ દુનિયા જંગલ રાજમાં પાછી ન ફરવી જોઈએ, જ્યાં મોટા દેશો નાના અને નબળા દેશોને ધમકાવતા અને ગુંડાગીરી કરતા રહે છે. આપણે શાંતિથી આગળ વધવાના માર્ગ પર ચાલવું જોઈએ અને વૈશ્ર્વિક શાંતિ અને સુમેળનું રક્ષણ કરવું જોઈએ. આ પરેડમાં 10 હજારથી વધુ ચીની સૈનિકો હાજર છે. તિયાનમેન સ્ક્વેરમાં તેમના અધ્યક્ષતામાં આ ત્રીજી મોટી લશ્ર્કરી પરેડ છે. ચીન તેનો ઉપયોગ પશ્ર્ચિમી દેશો સામે ગ્લોબલ સાઉથની એકતા દર્શાવવા અને તેની લશ્ર્કરી શક્તિ દર્શાવવા માટે પણ કરી રહ્યું છે.
આ પ્રસંગે ઘણા વિશ્ર્વ નેતાઓ મંચ પર હાજર છે, જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન, બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.