માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં એક તરફ ચૂંટણી એકદમ નજીક આવીને ઉભી છે ત્યાં બીજી તરફ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા મફતની લ્હાણી કરી રહી છે. જોકે, આ સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી અમદાવાદમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો આરંભ કરાવશે. આ યોજના અંતર્ગત ગુજરાતના શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં ભોજન મળશે.
- Advertisement -
પ્રથમ તબક્કામાં આ કેન્દ્રો ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ખોલવામાં આવશે. આગામી સમયમાં રાજ્યભરમાં આ ફૂડ સેન્ટરો ખોલવામાં આવશે. સરકારે નિર્ણય લીધો છે કે જ્યાં 50 થી વધુ મજૂરો એક સાથે રહે છે ત્યાં ભોજનની હોમ ડિલિવરી પણ આપવામાં આવશે. સરકાર હોમ ડિલિવરી કેવી રીતે કરશે, તે હજુ સ્પષ્ટ નથી. આ યોજના અંતર્ગત ગુજરાતના શ્રમિકોના માત્ર 5 રૂપિયામાં ભરપેટ પૌષ્ટિક ભોજન મળશે. ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત કડિયાનાકા પર કાઉન્ટરો શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર 10 રૂપિયામાં જ ટિફિન ભરી આપવામાં આવતું હતું. જોકે, કોરોના કાળમાં આ યોજના બંધ કરી દેવામાં આવી હતી.