ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.27
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે મોરબી જિલ્લાના અંદાજે રૂ.187 કરોડના કુલ 49 વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહુર્તથી મોરબી જિલ્લામાં રોડ કનેક્ટિવિટી સુદ્રઢ થવાની સાથે ડેરી સંલગ્ન પ્રોજેક્ટ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહાનગરપાલિકા તથા રિંગ રોડને લઈને કોઈ મોટી જાહેરાત થાય તેવી આશા સેવાઈ રહી હતી. પરંતુ મુખ્યમંત્રી દ્વારા સ્ટેજ ઉપરથી કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી. મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપરના પાર્ટી પ્લોટમાં આજે મુખ્યમંત્રીએ સભા સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા મળ્યા બાદ મોરબીમાં તેઓનો પ્રથમ કાર્યક્રમ છે. મહાપાલિકા મળવા બદલ તમામ મોરબીવાસીઓને અભિનંદન. વિકાસકામો ગુણવત્તાવાળા થાય તેવા પૂરતા પ્રયાસ ક2વામાં આવશે. જે કામ અમારા ધ્યાને મુકાઈ છે તે તમામ કામો મંજુર થઈ જ જાય છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સુચવેલ રૂ.30 કરોડના કામ ગઈકાલે મંજુર કરવામાં આવ્યા છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સૂચવેલ જીઆઇડીસીનું રૂ.90 કરોડનું કામ પણ આજે મંજુર થયું છે. તેઓએ ઉમેર્યું કે કામ ક્વોલિટી વાળા થવા જોઈએ કે ધારાસભ્યોને 5 વર્ષ બાદ એમ થવું જોઈએ કે હવે કયુ કામ મંજુર કરાવવા જવું.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે તેઓ દ્વારા ડેશબોર્ડમાં દરેક જિલ્લાની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લો પ્રથમક્રમે છે. મોરબી સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક કેન્દ્ર છે.મહાપાલિકા મળ્યા બાદ હવે તેને વધુ વેગ મળશે મોરબીમાં વિદેશથી પણ લોકો આવતા હોય છે. એટલે સ્વચ્છતા માત્ર નેતાઓ આવે ત્યારે જ થાય તેવું ન ચલાવી લેવાય. રોજ સ્વચ્છતા થવી જોઈએ. તેમાં બધાએ સહકાર આપવો પડશે.
- Advertisement -
કોંગ્રેસી-આપના આગેવાનોને ડીટેઈન કરાયા
મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દેખાવ માટે પહોંચ્યા હતા રવાપર ચોકડી ખાતે વિરોધ પક્ષના આગેવાનો દેખાવ કરી વિરોધ નોંધાવતા હતા ત્યારે પોલીસ કોંગ્રેસ અને આપના આગેવાનોને ડીટેઈન કરી પોલીસ મથકે લઇ ગયા હતા.
CMની સભા પૂર્વે કાંતિભાઈ ધારાસભ્યએ પૂર્વ તા.પ્રમુખને સ્ટેજ પરથી ઉતારી મૂક્યા
- Advertisement -
મોરબીમાં મુખ્યમંત્રીની સભા પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સ્ટેજ પર નામ ન હોવાથી ધારાસભ્યએ પૂર્વ તાલુકા પ્રમુખને નીચે ઉતરવાનું કહેતા વિવાદ સર્જાયો હતો. મોરબીના રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કરોડો રૂપિયાના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીના આગમન પહેલા જ સ્ટેજ પર તંગદિલી સર્જાઈ.મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા વચ્ચે સ્ટેજ પર વિવાદ થયો. ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ધારાસભ્યે વાસદડિયાને સ્ટેજ પરથી ઉતરવા જણાવ્યું, કારણ કે કાર્યક્રમ માટેના અધિકૃત યાદીમાં તેમનું નામ ન હતું. સામાન્ય રીતે, મુખ્યમંત્રીની ઉપસ્થિતિવાળા કાર્યક્રમોમાં સ્ટેજ પર ધારાસભ્યો, સાંસદ, ભૂતપૂર્વ મંત્રી, સરકારી અધિકારીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખને સ્થાન આપવામાં આવે છે. આ વિવાદમાં એક વધુ મુદ્દો એ હતો કે કાર્યક્રમ માટે સ્થાપિત હોર્ડિંગ્સમાં મોરબીના ધારાસભ્ય અને કચ્છ-મોરબીના સાંસદના ફોટા મૂકવામાં આવ્યા ન હતા. આ મુદ્દાને લઈને અણબનાવ ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાની માહિતી મળી રહી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે.