PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીનો હુંકાર, ‘આંદોલન ચાલું… અડીખમ રહેજો’
સસ્તા અનાજના 17 હજારથી વધુ દુકાનદારો હડતાળ પર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યભરના સસ્તા અનાજના રેશનિંગ દુકાનદારો આજથી અનિશ્ર્ચિત મુદતની હડતાળ પર ઊતર્યા છે. ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિયેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરમાં આજથી સસ્તા અનાજ વિતરણ પ્રક્રિયા બંધ રહેશે. સરકારી અનાજના જથ્થાનાં ચલણ ભરવાની પ્રક્રિયા બંધ રહેશે. રાજ્યના 17 હજારથી વધુ ડીલરો આંદોલનમાં જોડાઈને વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે. પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ દુકાનદારોને હુંકાર કરતાં કહ્યું કે આંદોલન ચાલુ, અડીખમ રહેજો. રાજકોટમાં 700 વેપારીની હડતાળથી 3 લાખ કાર્ડધારકોને રેશન મળશે નહીં. સુરત શહેરમાં અંદાજે 1100 જેટલી સરકારી અનાજની દુકાનો સંપૂર્ણપણે બંધ. મહેસાણા જિલ્લાના 670થી વધુ ડીલરો હડતાળમાં જોડાયા છે. ભાવનગર શહેર તથા જિલ્લાના 750થી વધુ રેશન શોપધારકો હડતાળ પર ઊતર્યા છે. અમદાવાદ અને વડોદરામાં પણ ઠેર ઠેર રેશન દુકાનો બંધ જોવા મળી છે.
પીએમ નરેન્દ્ર મોદીના નાના ભાઈ અને ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે દુકાનદારોનું આંદોલન હજુ સતત ચાલુ છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર અને કેટલાક વેપારીઓ દ્વારા આંદોલન તોડી પાડવા માટે એ સમાપ્ત થઈ ગયું હોવાના ખોટા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે.
- Advertisement -
પ્રહલાદ મોદીએ સ્પષ્ટતા કરી છે કે તેમણે સચિવને જાણ કરી દીધી છે કે દુકાનદારો વધારાની પ્રવૃત્તિ કરવા બંધાયેલા નથી, જે અંગે તેઓ હાઇકોર્ટમાં કેસ પણ જીતેલા છે. તેમણે તમામ દુકાનદારોને આવી અફવાઓથી ભ્રમિત ન થવા અને આંદોલનમાં અડીખમ રહેવા માટે અપીલ કરી છે.
રેશનિંગ દુકાનધારકો સરકારને વિનંતી કરે છે કે આ સમસ્યાનો જલદી નિર્ણય લેવામાં આવે અને એનો નિકાલ કરવામાં આવે, જેથી દુકાનદાર કે કાર્ડધારક કોઈને પણ હેરાન ન થવું પડે.
પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણ માટે ગુજરાત રાજ્યના સરકારી અનાજના વિક્રેતાઓએ અનિશ્ર્ચિત મુદતની હડતાળ શરૂ કરી દીધી છે, જેની સીધી અસર સુરત શહેર પર પણ જોવા મળી રહી છે, જ્યાં અંદાજે 1100 જેટલી સરકારી અનાજની દુકાનો સંપૂર્ણપણે બંધ છે. હડતાળને કારણે શહેરના તમામ વિસ્તારોમાં અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે હજારો ગરીબ અને જરૂરિયાતમંદ રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજનો લાભ મેળવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી અને આપણા વેપારીઓમાં પેદા થયેલા અમીચંદો, આપણું આંદોલન તોડી પાડવા માટે દુકાનદારોને ગેરમાર્ગે દોરવા, ખોટા સમાચાર પસાર કરી રહ્યા છે. કોઈપણ વીડિયો ચેનલમાં કે કોઈ પણ ટીવી ચેનલમાં આપણે આંદોલન સમાપ્ત થયાનું જણાવેલ નથી. એટલે કોઈપણ દુકાનદાર આવા સમાચારોથી ભ્રમિત થતા નહીં. આપણો આંદોલન સતત ચાલુ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. વોટ્સએપ મેસેજ ઉપર સચિવશ્રી સાથે સમાચારની આપ-લે થઈ એમાં મેં સ્પષ્ટ જણાવી દીધું છે કે વધારાની પ્રવૃત્તિ કરવા દુકાનદાર બંધાયેલો નથી અને હાઇકોર્ટમાં હું આવો એક કેસ જીતેલો છું. આવું મેં સ્પષ્ટ જણાવ્યું જે આપણા ગુજરાત એફપીએસ વિઘ્નહર્તા ગ્રુપમાં મેં મૂકેલું છે. એટલે કોઈપણ દુકાનદાર આવી વાતોથી ભ્રમિત ન થાય. આંદોલન ચાલુ છે અડીખમ રહેજો. ઋઙજ એકતા ઝિંદાબાદ. ધન્યવાદ.



