માતાજીની આરાધના કરવાનો રૂડો અવસર
ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે ભાવનગર નજીક રાજપરા ખોડિયાર મંદિરે ગઈકાલ સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ વખતે ચૈત્રી નવરાત્રીનો તહેવાર 30 માર્ચ 2025 રવિવારથી શરૂ થયો છે. માતાજીની આરાધનાનો આ ભક્તિમય ઉત્સવ દર વર્ષે ચૈત્ર માસના સુદ પક્ષ પ્રતિપદા તિથિથી શરૂ થાય છે અને નવમી તિથિએ સમાપ્ત થાય છે. દેશભરમાં ધામધૂમથી ઉજવાતા આ તહેવારમાં ભક્તો દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરે છે. માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજાનું પણ વિશેષ મહત્વ છે, ઘણા લોકો આ સમયગાળા દરમિયાન વિવિધ મંદિરોમાં પણ જાય છે અને માતાજીના દર્શન કરે છે. ચૈત્રી નવરાત્રીમાં દેવી શક્તિની ઉપાસના અનુષ્ઠાન કરવામાં આવે છે. જે ભક્તો માં શક્તિની આરાધના કરતા હોય તેમના માટે નવરાત્રી પરમ શુભદાઈ, ફળદાય અને પવિત્ર અવસર છે. આમ સામાન્ય દિવસોની તુલના એ નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. જે શ્રદ્ધાળુઓ શક્તિની આરાધના કરવા ઇચ્છતા હોય તેમણે નવરાત્રિના ઉપવાસ રાખી માતાજીની આરાધના કરી માતાજીને વધુ રાજી કરવા જોઈએ.