ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતમાં સરકાર દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને રેશન કાર્ડ જારી કરવામાં આવે છે. ભારતમાં કરોડો રેશનકાર્ડ ધારકો છે. સરકાર રેશન કાર્ડ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લોકોને ઓછા ભાવે રાશન પૂરું પાડે છે. જો તમે પણ રેશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા દેશભરમાંથી 5.8 કરોડ નકલી રેશનકાર્ડ રદ કરી દીધા છે. આ માહિતી ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.
- Advertisement -
કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને પહેલા જ એ સૂચના આપી દેવામાં આવી હતી કે, દરેક વ્યક્તિએ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. આ માટે બે થી ત્રણ ડેડલાઈન પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ઘણા રેશનકાર્ડ ધારકોએ તેમનું કેવાયસી નહોતું કરાવ્યું. હકીકતમાં દેશમાં ઘણા લોકો નકલી રેશન કાર્ડ બનાવીને સરકારની ખાદ્ય યોજનાનો લાભ લઈ રહ્યા હતા. સરકાર તરફથી મળેલી માહિતી પ્રમાણે ખાદ્ય મંત્રાલય દ્વારા દેશના 5.8 કરોડ નકલી રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. ભારતના પબ્લિક ડિસ્ટ્રીબ્યૂટર સિસ્ટમમાં ડિજિટાઈઝેશનના કારણે ઘણો બદલાવ આવ્યો છે. જેના કારણે નકલી રેશનકાર્ડ ધારકોને ઓળખવું વધુ સરળ બન્યું છે.
તમામ રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી કરાવવું જરૂરી
તમને જણાવી દઈએ કે, ભારત સરકારના ખાદ્ય મંત્રાલયે પહેલાથી જ તમામ રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરવા અંગે સૂચના આપી દીધી હતી. સરકારે આ માટે રેશનકાર્ડ ધારકોને ડેડલાઈન પણ આપી હતી. પરંતુ ઘણા રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી. આમાં ઘણા નકલી રેશનકાર્ડ ધારકો પણ સામેલ હતા. સરકારે હવે આ લોકોની ઓળખ કરી છે અને તેમના રેશન કાર્ડ રદ કરી દીધા છે. જો તમે પણ રેશન કાર્ડનો ઉપયોગ કરો છો. તેથી 31મી ડિસેમ્બર 2025 પહેલા ઈ-કેવાયસી પૂર્ણ કરી લો. નહીંતર તમારું રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે.