કોર્ટે અરજદારને જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો, એમ નોંધીને કે તે લગભગ છ મહિનાથી જેલમાં હતો અને ચાર્જશીટ પહેલાથી જ દાખલ કરવામાં આવી ચૂકી છે.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં હિન્દુ છોકરી સાથે ઓળખ છુપાવીને લગ્ન કરવાના આરોપી મુસ્લિમ યુવકને જામીન આપી દીધા છે. આ દરમિયાન કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બે પુખ્ત વયના લોકોના પરસ્પર સંમતિથી સાથે રહેવા પર માત્ર એટલા માટે વાંધો ન ઉઠાવી શકાય કે, તેઓ અલગ-અલગ ધર્મના છે. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યા બાદ લગભગ 6 મહિનાથી જેલમાં બંધ મુસ્લિમ યુવકને જામીનની મંજૂરી આપી દીધી છે.
- Advertisement -
ઉત્તરાખંડ હાઇકોર્ટે જામીન આપવાનો કર્યો હતો ઇન્કાર
જસ્ટિસ બીવી નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે મુસ્લિમ યુવક દ્વારા અપીલ દાખલ કર્યા બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. ફેબ્રુઆરી 2025માં ઉત્તરાખંડ હાઇકોર્ટે આ યુવકને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો, ત્યારબાદ તેણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ પહેલા તેની ઉત્તરાખંડ ફ્રીડમ ઑફ રિલીજન 2018 અને ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈઓ હેઠળ પોતાની ધાર્મિક ઓળખ છુપાવવા અને હિન્દુ મહિલા સાથે છેતરપિંડીથી લગ્ન કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
- Advertisement -
પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘રાજ્યને અપીલકર્તા અને તેની પત્નીના સાથે રહેવા સામે કોઈ વાંધો ન હોઈ શકે, ખાસ કરીને જ્યારે તેમના લગ્ન તેમના માતાપિતા અને પરિવારોની ઇચ્છા પ્રમાણે થયા છે. આગળની કાર્યવાહી તેમના સાથે રહેવાના માર્ગમાં અવરોધ નહીં બનશે.’ કોર્ટે એ તથ્ય પર ભાર મૂકતાં આરોપીને જામીન આપ્યા કે, તે લગભગ 6 મહિનાથી જેલમાં છે અને ચાર્જશીટ પહેલા જ દાખલ કરવામાં આવી ચૂકી છે.
કોર્ટને જણાવવામાં આવ્યું કે, ‘લગ્ન બંને પરિવારોની સંપૂર્ણ જાણકારી અને હાજરીમાં થયા હતા અને સિદ્દીકીએ લગ્નના બીજા દિવસે એક સોગંદનામું આપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, તે પોતાની પત્નીને ધર્મ પરિવર્તન માટે દબાણ નહીં કરે અને તે તેના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર રહેશે.’ કોર્ટમાં અરજદાર વતી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, ‘કેટલાક લોકો અને સંગઠનોએ આંતર-ધાર્મિક લગ્ન સામે વાંધો ઉઠાવ્યા બાદ FIR નોંધવામાં આવી હતી.’