અગાઉ નિકાવા અને હળવદમાં પેઢી ધરાવતા હતા: રાજકોટમાં 17 મહિના પહેલા જ તલનો વેપાર શરૂ કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
રાજકોટના મોરબી રોડ ઉપર ઓમ પાર્કમાં રહેતા અને બેડી માર્કેટિંગ યાર્ડમાં ભાડાની ઓફિસ રાખી તલનો વેપાર કરતાં શશીકાંતભાઈ શિવલાલભાઈ ચંદારાણા ઉં.55 નામના વેપારીએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
આ અંગે મળતી વિગત અનુસાર, શશીકાંતભાઈ ગઈકાલે બપોરે 11.45 વાગ્યે રાજકોટના નવા બેડી માર્કેટિંગ યાર્ડમાં પોતાની ઓફિસ નંબર બી 79 માં હતા ત્યારે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેને તત્કાલ રાજકોટની કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યાં આઈસીસી વોર્ડમાં બેભાન હાલતમાં તેઓની સારવાર ચાલુ હતી દરમિયાન ગઈકાલે મોડી રાત્રે 12.57 વાગ્યે ડો.નીરવ દેવડીયાએ જોઈ તપાસીને શશીકાંતભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ કુવાડવા રોડ પોલીસને થતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પરિવારની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, શશીકાંતભાઈ ત્રણ ભાઈ, ત્રણ બહેનમાં ત્રીજા નંબરના હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે તેમનું મૂળ ગામ કુવાડવા નજીક આવેલું રફાળા ગામ છે. અગાઉ તેઓ નિકાવા અને હળવદ ખાતે કરિયાણાની પેઢી ધરાવતા હતા. ત્યાં આઠ વર્ષ તેઓએ ધંધો કર્યો હતો છેલ્લા કેટલાક સમયથી ધંધો બરોબર ન ચાલતા તેઓ 17 મહિના પહેલા રાજકોટ આવી ગયા હતા અહીં યાર્ડમાં ભાડે ઓફિસ રાખી 17 મહિનાથી તલનો વેપાર શરૂ કર્યો હતો. જો કે આ ધંધો પણ બરોબર ન ચાલતા અને આર્થિક ભીંસ આવી જતા, દેણું થઈ જતા, શશીકાંતભાઈએ અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. વેપારીના મૃત્યુથી પરિવારમાં ભારે શોક છવાયો છે.