માચ્છીમાર બોટ એસો. સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા કલેકટર સહિતને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ અને સોમનાથ પંથકને જોડતો વેરાવળ બંદરનો રસ્તો અતિ બિસ્માર બન્યો છે.ઉપરાંત બંદરના રસ્તે આવેલા ત્રણ નાના પુલ (નાળા) પણ જર્જરિત બની ગયા હોવાની હજારો રાહદારીઓ માટે આફત સમાન છે.જેથી આ બાબતને ગંભીરતાથી લઈ અને યોગ્ય કરવામાં આવે તેવી રજૂઆત ખારવા સયુંકત માછીમાર બોટ એસો.સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેકટર સહિતનાઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વેરાવળ બંદરની અંદરનો રોડ કે જે વેરાવળ બંદરનાં ભવાની ગેઈટથી સોમનાથ હાઈવેને જોડે છે તે રોડ જિલ્લા કલેકટર ગીર સોમનાથ ઘ્વારા વર્ષ 2016-17 માં જાહેરનામુ પ્રસિઘ્ધ કરીને ભારે વાહનો સિવાયનાં અન્ય વાહનો માટે ખુલ્લો મુકેલ હતો ત્યારે આ રસ્તાને નવેસરથી બનાવવામાં આવેલ હતો.વર્ષ 2016-17 માં આ રોડ બનાવ્યા બાદ હાલ આ રોડ તેમજ રોડ વચ્ચે આવતા પુલોની હાલત અત્યંત જર્જરીત થઈ ગયેલ છે. વધુમાં હાલમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની વહિવટી કચેરીની બાજુમાં આવેલ રેલ્વે ક્રોસિંગ પર ઓવરબ્રીજ બનાવવાની કામગીરી શરૂ થયેલ હોય, આ રસ્તો સામાન્ય પબ્લીક માટે તેમજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરેલ છે અને હાઈવે પરનો તમામ ટ્રાફીક હાલ વેરાવળ બંદરની અંદરથી પસાર થાય છે અને ઓવર બ્રીજ બનાવવાની કામગીરી અંદાજે 2 વર્ષ ચાલે તેવી શકયતા જણાય છે.જેથી હાલ તમામ ટ્રાફીક બંદરમાંથી ડાયવર્ટ થતા બંદરની અંદર વાહનોનો ટ્રાફીક અત્યંત વધી ગયેલ છે અને હાલમાં બંદરમાં પુલો જર્જરીત બન્યા છે.જેથી બંદરના રસ્તા અને પુલ ના મુદ્દાને ગંભીરતાથી લઈ પુલ તેમજ રસ્તાનું નવીનીકરણ કરવામા આવે તો ભવિષ્યમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને.
વેરાવળ બંદરના પુલ-નાળા, તમામ નાનાં-મોટાં વાહનો તથા એમ્બ્યુલન્સ માટે ખૂબ જ જોખમી
