પાટીદાર સમાજ જરૂરીયાતમંદ સમાજની પડખે ઉભો રહે છે
ખાસ-ખબર સંવાદદાતા
જયારે તમે કોઇને શિક્ષણનું દાન કરશો તો તેના પરિવારની આવનાર 7 પેઢી બદલાઇ જશે. ખીમજી જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ કે. જે. નિદાન કેન્દ્ર દ્વારા આરોગ્ય ક્ષેત્રે રાહતદરે ખૂબ સુંદર કામગીરી કરે છે. આ નિદાન કેન્દ્રના મેનેજીંગ ટ્રસ્ટી ભાવિનભાઇ છત્રાળા જેઓ ઉમિયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ફળદુવાડીના મેનેજીંગ ટ્રસ્ટી છે. જેઓએ નવરાત્રિના નવલા દિવસોમાં જરૂરિયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓને શિક્ષણનું દાન આપીને ઉમદા કામ કરેલ છે.
- Advertisement -
જૂનાગઢ તાલુકાના ગોલાધર ગામના રામજી મંદિરના પૂજારી સુખાનંદી ભરતકુમાર ભગવાનદાસની દીકરી મનાલી ધો. 12 સાયન્સ પાસ કરેલ અને નર્સીંગમાં એડમીશન મેળવેલ. થોડા મહિના પહેલા આ દીકરીએ માતાની છત્રછાંયા ગુમાવેલી. પિતા પોતાની દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે ચિંતામાં હતા.ત્યારે ગોલાધર ઉમિયા પરિવાર સંગઠન સમિતી દ્વારા જૂનાગઢ ખાતે મુકુંદભાઇ હિરપરાનો સંપર્ક કરતા તેમણે ભાવિનભાઈ છત્રાળાને વાત કરી તો ભાવિનભાઇ છત્રાળાએ આ દીકરી જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધીની કોલેજની તમામ ફી ભરવાની જવાબદારી ઉપાડેલ અને આ દીકરીને નર્સીંગનો અભ્યાસ પૂરો થયા બાદ નોકરીની પણ ખાતરી આપી અને આ પરિવારને આરોગ્યલક્ષી કોઇપણ સેવાની જરૂર હોય તો કે. જે. નિદાન કેન્દ્રમાં વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ પરિવારને પોતાની ઘરે બોલાવીને આતિથ્ય સત્કાર પણ કરેલ. પાટીદાર સમાજ પોતાના સમાજની તો ચિંતા કરે જ છે પણ સાથે જરૂરીયાતમંદ સમાજની પણ પડખે ઊભો રહે છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.