રાજકોટ શહેરમાં 65 કેન્દ્ર, 322 બિલ્ડિંગ અને 2816 બ્લોકમાં પરીક્ષાની તૈયારી પૂર્ણ
ધો.10માં ગુજરાતીનું, ધો.12 સાયન્સમાં ભૌતિકવિજ્ઞાન અને ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર
- Advertisement -
ધોરણ 10-12ના 80,248 વિદ્યાર્થીની કસોટી, 101 વિદ્યાર્થી રાઈટરની મદદથી પરીક્ષા આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત રાજ્યભરમાં કાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે રાજકોટના કુલ 80,248 વિદ્યાર્થી પોતાની કારકિર્દીની આ મહત્વની પરીક્ષા આપશે. આજે બુધવારે જ તમામ વિદ્યાર્થીઓ માટે પોતાના પરીક્ષા કેન્દ્ર પર જઈ બેઠક વ્યવસ્થા અને નંબર જોવાની સુવિધા આપવામાં આવી છે. જેથી આવતીકાલે પરીક્ષાના સમયે કોઈ મૂંઝવણ ન સર્જાય. રાજકોટ શહેરમાં 65 કેન્દ્ર, 322 બિલ્ડિંગ અને 2816 બ્લોકમાં પરીક્ષા લેવા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. કાલે બોર્ડ પરિક્ષાના પ્રથમ દિવસે ધો.10માં ગુજરાતીનું, ધો.12 સાયન્સમાં ભૌતિકવિજ્ઞાન અને ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર રહેશે.
આ પરીક્ષામાં શારીરિક અક્ષમતા કે અન્ય બીમારીઓ સામે ઝઝૂમી રહેલા 101 વિદ્યાર્થી આ વર્ષે ’રાઈટર’ (લહિયા)ની મદદથી પરીક્ષા આપવાના છે. આ વિદ્યાર્થીઓએ પોતાની મર્યાદાઓને બાજુ પર મૂકી શિક્ષણ પ્રત્યેનો પોતાનો જુસ્સો બતાવ્યો છે.
- Advertisement -
બોર્ડના પરીક્ષાર્થીને પ્રાયોરિટી આપવી, સ્ટોપ આપવા જઝના કંડક્ટર્સને સૂચના
બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત જઝ દ્વારા પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને સમયસર કેન્દ્ર પર પહોંચવામાં કોઈ અવરોધ ન આવે તે માટે તમામ બસ કંડક્ટરને ખાસ સૂચના આપી છે. બસમાં ભીડ હોય તો પણ બોર્ડના પરીક્ષાર્થીઓને પ્રથમ પ્રાધાન્ય આપીને બેસાડવા. જો કોઈ વિદ્યાર્થી વિનંતી કરે, તો નિર્ધારિત સ્ટોપ સિવાય પણ પરીક્ષા કેન્દ્રની નજીક બસ ઊભી રાખી તેમને ઉતારવા. કંડક્ટર્સે વિદ્યાર્થીઓ સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી, તેમને સમયસર પહોંચાડવામાં સહયોગ આપવાનો રહેશે. એસ.ટી. નિગમના આ સંવેદનશીલ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને રાહત થશે અને પરીક્ષાના તણાવ વચ્ચે મુસાફરીની ચિંતા હળવી થશે.
ધો.10-12માં આટલા કેન્દ્રમાં વિધાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ કેન્દ્ર બિલ્ડિંગ બ્લોક પરીક્ષાર્થી
ધો.10 40 182 1565 46,657
ધો.12 સાયન્સ 06 39 401 7934
ધો.12 સા.પ્રવાહ 19 101 850 25,657
કુલ 65 322 2816 80,248
કરણસિંહજી હાઈસ્કૂલમાં આજથી કંટ્રોલરૂમ ધમધમશે
આવતીકાલથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા શહેરની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે સ્પેશિયલ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ કે વાલીઓને મૂંઝવતા પ્રશ્નો, પરીક્ષા કેન્દ્રની વિગતો કે અન્ય કોઈ પણ મુશ્કેલીના નિરાકરણ માટે આ કંટ્રોલરૂમ ’વન-સ્ટોપ સોલ્યુશન’ તરીકે કામ કરશે. આજથી જ આ કંટ્રોલરૂમ ધમધમતો થયો છે, જે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી બે સેશનમાં કાર્યરત રહેશે.



