સંભવત: 10 જુલાઈના મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામો નકકી થશે: નવા ચહેરાઓ કે વરિષ્ઠોને તક?
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાંથી રાજયસભાના સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરતાં ત્રણ સાંસદોની ટર્મ ઓગષ્ટમાં પુરી થઈ રહી છે. આ જ રીતે પશ્ચીમ બંગાળમાંથી પણ સભ્યોની મુદત પુરી થતાં બન્ને રાજયોની ખાલી થનારી બેઠકો માટે મુખ્ય ચુંટણી પંચે જુલાઈમાં ચુંટણી યોજવાની જાહેરાત કરી છે.
- Advertisement -
ગુજરાતમાંથી દિનેશ એનાવાડીયા તથા જુગલજી લોખંડવાલા તેમજ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર એમ ત્રણ સાંસદોનો સમાવેશ થાય છે, આમાંથી કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરને રિપીટ કરવામાં આવે તેમ છે, પરંતુ બાકીના બે ઉમેદવારોની પસંદગી રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા એકાદ સપ્તાહમાં કરાય તેવી શકયતા છે. હાલ ગુજરાત વિધાનસભામાં શાસક પક્ષના 156 સભ્યોની સંખ્યાને ધ્યાને લેતાં ત્રણેય બેઠકો ભાજપ પાસે જ યથાવત રહેશે. ભાજપના ઓબીસી મોરચામાંથી જ સીધા સાંસદ તરીકે રાજયસભામાં પહોંચેલા દિનેશ એનાવાડીયા બનાસકાંઠાના ડીસાના છે, તેઓ કોંગ્રેસના સ્વર્ગસ્થ રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી રાજયસભાની બેઠક પર ભાજપના સાંસદ તરીકે 2021માં ચુંટાયા હતા. જયારે મહેસાણાના જુગલજી લોખંડવાલા (ઠાકોર) રાજયસભા સાંસદ સ્મૃતિ ઈરાની લોકસભા 2019માં અમેઠીથી વિજયી થતાં રાજયસભાની બેઠક ખાલી કરી હતી. એની પેટાચુંટણી વિજયી થયા હતા.
આમ, આ બન્ને ઉમેદવારોના સ્થાને નવા ચહેરાને તક અપાશે કે આ પૈકી કોઈ એકાદને રિપીટ કરી એક જ નવો ઉમેદવાર પસંદ કરવો તેના અંગે ગુજરાતના એકમના અભિપ્રાય સાથે રાષ્ટ્રીય નેતૃત્વની બેઠક યોજાનાર છે, તેમ કહી સૂત્રો ઉમેરે છે કે સંભવત: 10 જુલાઈના રોજ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામો અંગે ચર્ચા થશે અને એમાં નકકી થયેલા નામો મુજબ ગુજરાતમાં રાષ્ટ્રીય નેતૃત્વની ઉપસ્થિતિમાં ત્રણેય ઉમેદવારો ફોર્મ ભરશે.