ફટાકડા મુદ્દે ભાજપ પ્રમુખ CR પાટીલે દિલ્હી ઈખ કેજરીવાલ પર નિશાન સાધ્યું
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે દિવાળીના તહેવાર દરમિયાન લગાવેલા ફટાકડા પરના પ્રતિબંધનો મુદ્દો ગુજરાતમાં પણ ચર્ચાઈ રહ્યો છે. ત્યારે હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેજરીવાલ અને તેમની સરકાર પર નિશાન સાધ્યું છે. સીઆર પાટીલે કહ્યું કે, આવા ધર્મવિરોધી લોકોને ઓળખી લેવા જરૂરી છે.
- Advertisement -
એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેજરીવાલ વિશે નામ લીધા વગર કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રીએ ફટાકડા પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે એ ભાઈ અહીં આવવાના પ્રયત્નો કરે છે. તો તમે કઈ રીતે ફટાકડા ફોડશો? એટલે આવા ધર્મવિરોધી, ફટાકડા વિરોધી અને આપણા ઉત્સવોની ઉજવણી કરવામાં રોકનાર લોકોને ઓળખી લેજો. ભાજપ પ્રદેશ પ્રમુખ રાજકોટમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા, જ્યાં તેમણે આ ટિપ્પણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે કેજરીવાલ સરકારના મંત્રી ગોપાલ રાયે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, રાજધાનીમાં દિવાળી પર ફટાકડા ફોડવાથી 6 મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ સાથે રાયે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર 5000 રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષની જેલની સજા થશે.