ભાજપે જૂનાગઢ ફાટક મુક્તનો મુદ્દો જાણે પડતો મુક્યો
મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા બંને પક્ષના અત્યારથી જ હવાતિયાં કોંગ્રેસ પાસે લોકો સુધી જવાના અનેક મુદ્દા પરંતુ પક્ષ ખુદ વેર-વિખેર
- Advertisement -
સંકલ્પ પત્રમાં ગત ચૂંટણીના કામોનો ઉલ્લેખ કરી ખુદ ભાજપે આડકતરી રીતે સ્વીકાર્યુ કે વિકાસ થયો નથી, સામાન્ય ચૂંટણી પણ ભાજપ નરેન્દ્ર મોદીના ચહેરા પર લડી રહી છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સત્તા માટે એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. જો કે, વર્તમાન સ્થિતિ જોઇએ તો મતદારોમાં ખાસ ઉત્સાહ દેખાતો નથી. જે બંને રાજકીય પક્ષોની ઉંઘ ઉડાડી રહ્યું છે. જ્યારે ભાજપ ફરી સત્તામાં આવવા મતદારોને રિજવવા માટે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. જો કે, ભાજપે કરેલા સંપકલ્પ પત્રને લઇને ખુદ ભાજપે પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે. ઢંગ ધડા વિનાના અને અભ્યાસ કર્યા વિના સંકલ્પ પત્રની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપે જાહેર કરેલા સંપકલ્પ પત્રમાંથી 11 કામ તો ગત ચૂંટણીમાં પોતાના સંકલ્પ પત્રમાં લીધા હતા એ જ કામો ફરી લોકોને બતાવી રિઝવવાનો પ્રયાસ કર્યો છે. ગત વર્ષે ચૂંટણી પહેલા વિલીગ્ડન ડેમનો વિકાસ વિદ્યાર્થીઓ માટે ઇ-લાઇબ્રેરી, પર્યટન સ્થળોનો વિકાસ, ઘર વિહોરાણા લોકો માટે ઘરની સુવિધા, શહેરના જુદા જુદા સર્કલનો વિકાસ, ગાર્ડનનો વિકાસ, ક્રિકેટ સ્ટેડીયમ બનાવવુ, શહેરમાં વોર્કસ ઝોન, મહિલાઓ માટે વોશરૂમ, નવા ફાયર સ્ટેશન બનાવવા સહિતની જાહેરાતો કરી હતી. ત્યારે ફરી આ ચૂંટણીમાં આ જ મુદાઓ પોતાના સંકલ્પ પત્રોમાં જાહેર કરી ભાજપે પોતાની અનઆવડત અને પાંચ વર્ષમાં કામ ન થયાનો હાડકતરો સ્વીકાર કર્યો છે.
બીજી તરફ જૂનાગઢનો સૌથી મોટો મુદ્દો ફાટક મુક્ત જૂનાગઢને ભાજપ ભુલી ગયો છે. ધારાસભાની ચૂંટણી આ મુદ્દા ઉપર જ લડ્યા હતા. એટલુ જ નહીં જૂનાગઢ શહેરના દરેક ફાટક ઉપર બેનર લગાવી જાહેર કર્યુ હતુ કે ફોટો પાડી લેજો આવતી ચૂંટણીમાં આ ફાટક નહીં હોય પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણીના સંકપલ્પ પત્રમાં ભાજપે આ મુદ્દાને હટાવી લીધો છે. જેને કારણે લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ માટે બીજો અને મહત્વનો મુદ્દો ચહેરાનો છે. ગત ચૂંટણીમાં આવી જ ભાજપની સ્થિતિ હતી ત્યારે ભાજપે સ્વચ્છ છબી ધરાવતા ધીરૂભાઇ ગોહિલને મેયર પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા તેના નામ ઉપર ચૂંટણી લડયા હતા. પરંતુ આ ચૂંટણીમાં ભાજપ પાસે કોઇ ચહેરો નથી. શહેરમાં ભાજપે ઠેેર-ઠેર હોર્ડીંગ્સ, બેનર્સ લગાડયા છે જેમાં નરેન્દ્રમોદી, સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના જ ફોટા છે. તેનો સીધો અર્થ એવો થયો કે, ભાજપ જૂનાગઢ જેવી નાની કોર્પોરેશનની ચૂંટણી પણ નરેન્દ્રમોદીના ચહેરા ઉપર જીતવા માંગે છે. કારણ કે, જૂનાગઢ ભાજપ વિકાસના નામે લોકો પાસે મત માંગી શકે તેમ નથી. ગિરનાર રોપ-વે, ઉપરકોટના વિકાસની વાતો ભાજપ કરે છે પરંતુ અહીંથી આવતા રૂપિયા જૂનાગઢને મળતા નથી. ખાનગી કંપનીઓના કિસ્સામાં જઇ રહ્યા છે. બીજી તરફ વારંવાર રસ્તા ખોદવા અને રસ્તા ખોદવાના ખોટા બહાના આપવા એ ભાજપની નિતી હવે લોકો જાણી ગયા છે જેને કારણે ભાજપ પોતાના અને અન્ય મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે હવાતીયા મારી રહ્યો છે.
- Advertisement -
ફાટક મુક્ત જૂનાગઢનો મુદ્દો ધારાસભાની ચૂંટણીનો છે
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સંકલ્પ પત્રમાં ફાટક મુક્ત જૂનાગઢ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો નથી જેનો ગણગણાટ ભાજપ પક્ષમાં પણ થઇ રહ્યો છે. ત્યારે કેટલાક ભાજપીઓ એવો કહી રહ્યા છે કે આ મુદ્દો ધારાસભાની ચૂંટણીનો છે. એટલે મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
કોંગ્રેસ પાસે તક પરંતુ વેર-વિખેર
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે લોકો આગળ જવાના અનેક મુદ્દા છે પરંતુ કોંગ્રેસ ખુદ વેર-વિખેર છે. કોંગ્રેસ પાસે એક સારા અને પૂર્વ ધારાસભ્યના પુત્ર મનોજ જોષી પાસે ચૂંટણીની કમાન્ડ છે તેમજ શહેરમાં ન થયેલા વિકાસ, પુર હોનારત, કાળવા નદી ઉપરના દબાણો, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ છે. પરંતુ કોંગ્રેસ ખુદ વેર-વિખેર છે. કોંગ્રેસના હોદેદારો ટપોટપ ભાજપમાં જોડાઇ રહ્યા છે. જેને કારણે કોંગ્રેસને મળેલી આ તક કોંગ્રેસ ગુમાવી દે તેવી પણ શકયતાઓ છે.