આ ઘટનામાં અત્યાર સુધી 37 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી, તેમાંથી મોટાભાગના લોકોની ઓળખ થઈ શકી નથી કારણ કે તેઓ સંપૂર્ણપણે બળી ગયા
નાઈજીરીયાના ઉત્તરપૂર્વીય શહેર મૈદુગુરીની બહાર ત્રણ બસો અથડાતા ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા છે. દેશની માર્ગ સુરક્ષા એજન્સીએ આ માહિતી આપી છે. બોર્નો રાજ્યની માર્ગ સુરક્ષા એજન્સીના વડા ઉત્તેન બોઈએ જણાવ્યું હતું કે, બે કોમર્શિયલ બસો સામસામે અથડાતાં અને આગ લાગી ત્યારે આ અકસ્માત થયો હતો. દરમિયાન ત્રીજી બસ તેમની સાથે અથડાઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી 37 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને તેમાંથી મોટાભાગના લોકોની ઓળખ થઈ શકી નથી કારણ કે તેઓ સંપૂર્ણપણે બળી ગયા હતા.
- Advertisement -
નાઈજીરીયાના બોર્નો રાજ્યની રાજધાની મૈદુગુરીથી લગભગ 35 કિલોમીટર (20 માઇલ) દૂર જકાના ગામ પાસે આ અથડામણ થઈ હતી. એક બસનું ટાયર ફાટતાં તે સામેથી આવતા વાહન સાથે અથડાતાં આ અથડામણ થઈ હતી. ફેડરલ રોડ સેફ્ટી કોર્પ્સ સેક્ટર કમાન્ડરે પત્રકારોને જણાવ્યું હતું કે, આ દુર્ઘટના વધુ પડતી ઝડપને કારણે થઈ હતી.એક બસે કાબુ ગુમાવ્યો અને માર્ગ પરથી પલટી ગયો અને બીજી સાથે અથડાઈ. વહીવટીતંત્રની દેખરેખ હેઠળ બુધવારે (23 નવેમ્બર) મૃતદેહોને સામૂહિક રીતે દફનાવવામાં આવશે.
નોંધનીય છે કે, આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતું રાષ્ટ્ર નાઇજીરીયાના ખરાબ રીતે જાળવવામાં આવેલા રસ્તાઓ પર અકસ્માતો સામાન્ય છે, જે મોટાભાગે ઝડપ અને ટ્રાફિક નિયમોની અવગણનાને કારણે થાય છે. આ પહેલા મંગળવારે નાઈજીરિયાની રાજધાની અબુજા પાસે બસ અને ટ્રકની ટક્કરથી 17 લોકોના મોત થયા હતા અને ચાર ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતો ઉત્તર-પૂર્વીય ગોમ્બે રાજ્યથી મુસાફરી કરી રહ્યા હતા. વધુમાં શનિવારે એક ઓવરલોડેડ કાર ટાયર ફાટવાથી ઉત્તરીય શહેર કાનોની બહાર ડેમમાં ડૂબી જતાં નવ લોકોનાં મોત થયાં હતાં.