ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે ભાતીગળ મેળાનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, 700 વર્ષ પૂર્વે અહીં જડેશ્વર મહાદેવની સ્વયંભૂ સ્થાપના થઈ છે ત્યારે વર્ષોથી અહીં આ લોકમેળો યોજાય છે. જડેશ્વર મહાદેવના મંદિરે લાખો દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,.સૌરાષ્ટ્ર પંથકમાં પાછોતરો વરસાદ ખેંચાયો છે ત્યારે જડેશ્વર દાદાના શરણે એવી પ્રાર્થના કરું છું કે, સમયસર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર પંથકમાં જરૂરિયાત અનુસાર વરસાદ થાય. આ ઉપરાંત જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વ ગુરૂ બનાવવા માટે અને દેશની સંસ્કૃતિ તેમજ ધરોહરને ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે આપણે સૌ પણ આ કાર્યમાં યથાયોગ્ય સહકાર આપીએ.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ જડેશ્વર મંદિર ખાતે મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે મંત્રી સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલજી મહારાજ અને જીતેન્દ્રજી મહારાજ અને વાંકાનેર પ્રાંત અધિકારી એ. એચ. શીરેશિયા સહિત આજુબાજુ ગામના સરપંચ અને નાગરિકો તેમજ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.