ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ અને સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી 161 સરકારી-સમરસ છાત્રાલયમાં નવા સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ 16,597 વિદ્યાથીઓની યુ-ટયુબ દ્વારા ઓનલાઈન મેરિટ યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. આજે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એમાં નવા સત્રમાં અરજી કરનાર વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડની યાદી જાહેર કરવામાં આવી છે.
પસંદગી પામેલા વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજોનું વેરિફિકેશન કરી વર્ષ 2025-26 માટે છાત્રાલયોમાં પ્રવેશ આપવામાં આવશે. આજે મેરિટ યાદીમાં પસંદગી પામનાર વિદ્યાર્થીઓને મોબાઈલમાં એસ.એમ.એસ.થી જાણકારી આપવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની વિવિધ સરકારી છાત્રાલયો તેમજ સમરસ છાત્રાલયોમાં પ્રવેશ માટે ઓનલાઈન વિદ્યાર્થીઓની અરજી મંગાવવામાં આવી હતી. આ અરજીઓની ચકાસણી બાદ મેરિટ આધારે પ્રવેશ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહીદ, અનુસુચિત જાતિ કલ્યાણના નિયામક રચિત રાજ, વિકસતી જાતિ કલ્યાણના નિયામક વિક્રમસિંહ જાદવ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.