પ્રમુખ-શહેર ભાજપ: મુકેશ દોશી
પરોપકાર અને પરમાર્થ જ તેમનું જીવનસૂત્ર હતું
- Advertisement -
સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી ઉપર એક મહામાનવનો જનમ થયો અને એ સંત જેવું જીવન જીવી ગયા. એ મહામાનવ, દાનવીર, જૈનશ્રૈષ્ઠિ, ભારત ભામાશા પૂ. દીપચંદ ગારડીનો આજે 110મો જન્મદિવસ છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર આજે પણ તેને ભાવથી યાદ કરે છે. પૂ. દીપચંદભાઈનું વતન પડધરી હતું પણ સમગ્ર ભારતને પોતાનું વતન ગણી જ્યાં જરૂર જણાય ત્યાં દીન-દુ:ખિયાની સેવા કરી ભારતભરના અસંખ્ય રાજ્યોમાં આજે દીપચંદભાઈની સેવા સતત ધબકે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સ્કૂલો, હોસ્પિટલો, મંદિરો, મસ્જિદો, અનાથઆશ્રમ, વૃદ્ધાશ્રમ, ધર્મશાળાઓ, છાત્રાલયો, શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરી દીપચંદભાઈ એક મહામાનવ તરીકે ઉપસી આવ્યા. ગુજરાતના 18 હજાર ગામડામાંથી ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં દીપચંદભાઈ ગારડીએ પોતાના દાનની સરવાણી વહાવી ન હોય.
એટલે જ ગુજરાત સરકારે તેને સ્ટેટ ગેસ્ટ જાહેર કરેલ. પ્રખર જીવદયાપ્રેમી દીપચંદભાઈ ગારડીનું સૂત્ર હતું, જીવો અને જીવવા દો, કુદરતે આપેલ સંપત્તિનો ખરા અર્થમાં ઉપયોગ કરો, કોઈના આંસુ લુછવામાં નિમિત્ત બનો. આ મહામાનવનું એવું માનવું હતું કે સમાજને સુશિક્ષિત બનાવો સમાજ આપોઆપ સમૃદ્ધ બનશે એટલે જ દીપચંદભાઈ ગારડીએ અસંખ્ય વિશ્ર્વ વિદ્યાલયોમાં પણ દાનની સરવાણી વહાવી હતી.
મધ્યપ્રદેશનાં ઉજ્જૈન ખાતે શ્રીમતિ રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડીના નામથી 1000 બેડની હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સુવિધા દીપચંદભાઈ ગારડી દ્વારા ઊભી કરવામાં આવી છે. અતિપછાત અને અંતરિયાળ વિસ્તારમાં મેડિકલ સુવિધા મળી રહે એ માટે ઊભી કરવામાં આવેલ આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી. તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે દર્દીઓને મળી રહે છે. કદાચ ભારતભરમાં આવી હોસ્પિટલ સૌ પ્રથમ હશે. આજે પણ આ હોસ્પિટલમાં તેમના જયેષ્ઠ પુત્ર ડો. રશ્મિકાંતભાઈ ગારડી પોતાની સેવા આપી રહ્યા છે. સૌરાષ્ટ્રનું વિશ્ર્વ વિદ્યાલય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાની સખાવત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફોર સ્ટાર યુનિવર્સિટીનો દરજ્જો અપાવવામાં ગારડીનો સિંહફાળો છે. તત્કાલિન કુલપતિ ડો. કનુભાઈ માવાણી અને ત્યાર પછીના કુલપતિઓ સાથે રહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અસંખ્ય ભવનોનું નિર્માણ આધુનિકરણ કરી કરોડો રૂપિયાનું સખાવત કરી હતી.
- Advertisement -
સૌરાષ્ટ્રના માંગરોળ પાસે આવેલ શારદાગ્રામ સ્થિત ભવ્ય શૈક્ષણિક સંકુલ, મહારાષ્ટ્રના સોલાપુર પાસે આવેલ પ્રોસ્ટીટયુટના બાળકો માટે બનાવાયેલ આશ્રમ, અમદાવાદ, પુના અને મુંબઈ ખાતેના જૈન ભવનો સહિતના સેવા પ્રકલ્પો આજે પણ સતત પ્રવૃત્તિથી ધમધમતા રહે છે. કરોડો લોકોના આશીર્વાદ મેળવી 98 વર્ષની જૈફવયે છેલ્લે સુધી સતત પ્રવૃત્ત રહી આવનારી પેઢીને નવો રાહ બતાડનાર દીપચંદભાઈ ગારડી આજે હયાત નથી પણ તેને ભાવિ પેઢી વર્ષો સુધી યાદ કરશે એ હકીકત છે. પૂ. દીપચંદભાઈ ગારડીના પુત્રો રશ્મીકાંતભાઈ, હસમુખભાઈ, પુત્રવધૂઓ ચંદ્રીકાબેન- સુરેખાબેન, પૌત્રો બીનોય તેમજ હીતેનભાઈ અને સમગ્ર પરિવાર આજે પણ જ્યાં જરૂર પડે ત્યાં સેવાની જ્યોત જલતી રાખી તેને વારસમાં મળેલ સંસ્કારોને ઉજાગર કરેલ છે.પૂ. ગારડીસાહેબ સાથેના મારા વ્યક્તિગત વર્ષોના સંબંધોને યાદ કરી આ યુગપુરુષને શ્રદ્ધાસુમન કરી કોટી-કોટી વંદન કરું છું.



