બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી દુ:ખદ ભાગદોડ બાદ, જેમાં અનેક લોકોના મોત અને ઇજાઓ થઈ હતી, KSCA સેક્રેટરી એ શંકર અને ટ્રેઝરર એ ઇ જયરામે રાજીનામું આપી દીધું છે. IPL વિજય દરમિયાન ભીડ વ્યવસ્થાપનની નિષ્ફળતાઓની ચાલી રહેલી તપાસ અને લોકોના આક્રોશ વચ્ચે તેમણે આ ઘટના માટે નૈતિક જવાબદારી લીધી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પંજાબ કિંગ્સને 6 રને હરાવીને IPL 2025નો ખિતાબ જીત્યો. આ પછી કર્ણાટક વિધાનસભાની બહાર RCB ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં લાખો લોકો તેમના મનપસંદ ખેલાડીઓને જોવા માટે ઉમટી પડ્યા હતા. ભીડ અપેક્ષા કરતાં વધુ આવી હતી અને પોલીસ તેમને સંભાળી શકી ન હતી. આ કારણે નાસભાગ મચી ગઈ અને 11 લોકોનાં મોત નીપજ્યાં. પોલીસે અત્યાર સુધીમાં RCB ના માર્કેટિંગ હેડ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના 3 કર્મચારીઓની ધરપકડ કરી છે. કોર્ટે ચારેય આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. હવે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી એ શંકર અને ખજાનચી ઇ જયરામે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બંનેએ નૈતિક જવાબદારી લેતા આ નિર્ણય લીધો છે.
- Advertisement -
KCA પ્રમુખને રાજીનામું સુપરત કર્યું
એ શંકર અને ઇ એસ જયરામે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ગુરુવારે રાત્રે કેસીએ પ્રમુખને રાજીનામું સુપરત કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા બે દિવસમાં બનેલી અણધારી અને કમનસીબ ઘટનાઓને કારણે અમે જણાવવા માંગીએ છીએ કે અમે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અને ખજાનચી તરીકે અમારા સંબંધિત પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભલે આમાં અમારી ભૂમિકા ખૂબ જ મર્યાદિત હતી.
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી
કેએસસીએના પ્રમુખ રઘુરામ ભટ્ટ, સેક્રેટરી શંકર અને ખજાનચી જયરામે કર્ણાટક હાઇકોર્ટને જણાવ્યું હતું કે ગેટ મેનેજમેન્ટ અને ભીડ વ્યવસ્થાપન એસોસિએશનની જવાબદારી નથી અને તેમણે વિધાનસભામાં સમારોહ યોજવાની પરવાનગી માંગી હતી. વિધાનસભામાં સન્માન સમારોહ કોઈપણ મોટી ખલેલ વિના પૂર્ણ થયો હતો, પરંતુ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી. અકસ્માત બાદ, કર્ણાટક ક્રિકેટ એસોસિએશને દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. આ ઉપરાંત, ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી.