ખુલ્લી કિતાબ જેવું વ્યક્તિત્વ ધરાવતા, સત્ય માટે એકલપંડે ઝઝુમનારા મહારથી, ગરીબોના બેલી કાનાબાપાની વિદાયથી સમાજમાં શોક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આહિર સમાજના અગ્રણી તથા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા કાનાભાઈ લક્ષ્મણભાઈ કાનગડ (આહિર)નું ગઈકાલ તા.14ના રવિવારે નિધન થતા સમાજમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે તેમની ઉંમર 88 વર્ષની હતી.
સમાજમાં કાનાભાઈ આહિર તરીકે જાણીતા હતા. તેઓ 1968થી રામમઢી બળદાયી હનુમાનના પ્રમુખ તેમજ 20 વર્ષથી વધ અન્નક્ષેત્ર ચલાવ્યું. વર્ષે 50 મણ જેટલા બુંદી ગાંઠીયા ચણાનું અન્નક્ષેત્ર ચલાવતા હતા. તેઓ 1975થી કનકનગર કો.ઓ. હાઉસીંગ સોસાયટીના પ્રમુખ, 1980થી લોકશાહી રખેવાળ જુથના પ્રમુખ, પરાબજાર એસો.ના ઉપપ્રમુખ લોકસભા ચુંટણી અપક્ષ ઉમેદવાર તરીકે ત્રણ વખત લડયા હતા. ‘સત્યયુગ ટાઈમ્સ’ ગુજરાતી માસિકના એડિટર તથા પબ્લીસર હતા. તેમણે ખોડિયારનગરમાં 200 વીજ્ઞા સરકારી જમીન ખરીદીને ગરીબોને વહેંચી આપી હતી.
1962માં તેઓ રાજકોટ એસો. (મજુર)ના પ્રમુખ રહ્યા હતા. તેમણે રેકડા એસો.ની રચના કરી હતી. મેનકા ગાંધીએ નવો પક્ષ રચ્યો ત્યારે તેમણે સમર્થન કરેલું હતું. મોરબી હોનારત વખતે રાજકોટના ભગવતીપરામાં 50 વાર જમીન મફત આપેલી. તેમજ પીડિતોને રાશન પણ પહોંચાડયું હતું. કાનાભાઈ આહિરે મોરબી હોનારત વખતે લાશોના ઢગલાને અગ્નિદાહ કરીને સામાજીક સેવા બજાવી હતી. આહિર જ્ઞાતિમાં આજથી 60 વર્ષ પહેલા આહિર જ્ઞાતિમાં કુરિયાજોને નાબુદ કરવા રાજકોટ જીલ્લાના ગામડાઓમાં સભાઓ ભરી હતી અનેક લોક જાગૃતિના સેવા કાર્યો કર્યા હતા.
- Advertisement -
ઈંદિરા ગાંધીથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી જીવરાજ મહેતાથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી અંગત પરિચય રહ્યો હતો. કાનાબાપા કાનગડ એટલે ખુલ્લી કિતાબ જેવું તેમનું વ્યકિતત્વ, સત્ય સામે એકલપંડે ઝઝુમતા મહારથી હતા. નાતજાત કે ધર્મના ભેદભાવ વગર નબળા, નિરાધાર અને ગરીબના સાચા અર્થમાં બેલી રહ્યા હતા. તેમણે પિતાજી લખમણ બાપાની રાહે ‘સેવા પરમોધર્મ’ને જીવનમંત્ર બનાવ્યો હતો. ગઈકાલ તા.14ના રવિવારે બ્રહ્મમુહૂર્તમાં કાનાબાપા કાનગડે વસમી વિદાય લીધી. સ્વ.કાનાભાઈ કાનગડ (આહિર)ની પ્રાર્થના સભા તા.18/7ના ગુરૂવારે બપોરે 4થી 6 બીએપીએસ પ્રમુખ સ્વામી સભાગૃહ, સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.