અધિક જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું: રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીનાં તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષ્ણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશોના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને અગવડ ન પડે તે માટે સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેંચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ રાખવા અધિક જિલ્લા કલેકટર કે.બી.ઠકકર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
- Advertisement -
સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન મુજબ દિવાળીના અને અન્ય તહેવારો દરમ્યાન ફટાકડા ફોડવાના સમય દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે. રાત્રીનાં 22:00 થી સવારના 06:00 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં. સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ)થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહિ કે વેંચાણ કરી શકાશે નહીં. હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર પેટ્રોલિયમ એન્ડ એક્સપલોઝીવ સેફટી ઓર્ગેનાઇઝેશન (ઙઊજઘ) દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર (ડેસિબલ,લેવલ) વાળા જ ફટાકડા ઉત્પાદન વેચાણ કરી શકાશે. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં કે રાખી શકાશે નહી અથવા વેચાણ કરી શકાશે નહીં. ઈ-કોમર્સ વેબસાઈટ, ફલીપકાર્ટ, એમેઝોન સહીતની કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકશે નહી કે ઓનલાઈન વેચાણ કરી શકશે નહી.