લેક્સસ ગ્રેનાઈટોના ડિરેકટરો વતી વકીલે ત્રણ અઠવાડિયામાં ટેક્સચોરીની દસ ટકા રકમ ભરવાની બાંહેધરી આપી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ લેક્સસ ગ્રેનાઈટો નામની સિરામીક ફેકટરી દ્વારા અંડર બિલિંગ સહિતની 14.66 કરોડની રકમની ટેક્સ ચોરી કરવા મામલે ડીરેકટર અનિલ બાબુભાઈ દેત્રોજા અને હિતેશ બાબુભાઈ દેત્રોજા તેમજ એકાઉન્ટટ રાજેશ રણછોડભાઈની સીજીએસટીની ટીમે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. બાદમાં આ કેસમાં આરોપીઓ દ્વારા જામીન મુક્ત થવા માટે અરજી કરવામાં આવતા ગઈકાલે નામદાર મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓ વતી બચાવ પક્ષે રાજકોટના નામાંકિત એડવોકેટ અપુર્વભાઈ એન. મહેતા દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે ત્રણેય આરોપીઓને જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો.
- Advertisement -
વધુમાં આરોપીઓના એડવોકેટે નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, કંપની ટેક્સ ચોરી કરતી નથી આમ છતાં પણ ટેક્સચોરીના આરોપની રકમના દસ ટકા એટલે કે અંદાજે રૂપિયા 2 કરોડ ત્રણ અઠવાડિયામાં વાંધા સાથે જમા કરાવી દેશે તેવી ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.