સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર, અજય મિશ્રા ટેની, કૈલાસ ચૌધરીને પછડાટ
લોકસભા ચૂંટણીમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓને હારનો સામનો કરવો પડયો છે. જેમાં ભાજપના સ્મૃતિ ઈરાની, અર્જુન મુંડા, અજય મિશ્રા ટેની અને કૈલાશ ચૌધરી સહિત 13 કેન્દ્રીય મંત્રી સામેલ છે.
- Advertisement -
ખાસ કરીને 2019માં રાહુલ ગાંધીને અમેઠીમાં હરાવનાર ઈરાનીની હાર ભાજપ માટે મોટો આંચકો છે. અમેઠીમાંથી ગાંધી પરિવારના વિશ્વાસુ કિશોરીલાલ શર્માએ ઈરાનીને 1,67,196 લાખ મતના માર્જિનથી હરાવ્યા હતા. કેરલના તિરુવનંતપુરમની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય રાજય મંત્રી રાજીવ ચંદ્રશેખરને કોંગ્રેસના શશી થરુર સામે માત્ર 16077 મતથી હારનો સામનો કરવો પડયો હતો.
લખિમપુર ખેરી કેસમાં પુત્રની ધરપકડથી વિવાદમાં રહેલા મંત્રી અજય મિશ્રા ટેનીની સમાજવાદી પાર્ટીના ઉત્કર્ષ વર્મા સામે 34,329 મતથી હાર થઈ હતી. પશ્ચિમ બંગાળમાં શિક્ષણ રાજયમંત્રી સુભાષ સરકારને તૃણમુલ કોંગ્રેસના અરુપ ચક્રવર્તીએ 32,778 મતના માર્જિનથી પરાજય આપ્યો હતો. ઝારખંડની ખુંટી લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા હાર્યા હતા.
રાજસ્થાનના બાડમેરમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજયમંત્રી કૈલાશ ચૌધરી ત્રીજા ક્રમે રહ્યા હતા. મત્સ્યપાલન રાજયમંત્રી એલ મુરુગનને પણ તમિલનાડુના નીલગીરીમાં હારનો સામનો કરવો પડયો હતો. ઉપરાંત, કેન્દ્રીય ગૃહરાજયમંત્રી નિશીથ પ્રમાણિક, મંત્રી સંજીવ બાલિયાનને પણ પછડાટ મળી હતી.