અઝરબૈજાને ભારત પર SCOના સંપૂર્ણ સભ્યપદ માટેના તેના પ્રયાસને અવરોધવાનો આરોપ લગાવ્યો, અને આરોપ લગાવ્યો કે ભારત પાકિસ્તાન સાથેના સંબંધોને કારણે બદલો લેવા માંગે છે.
ભારતે શાંઘાઈ સહયોગ સંગઠન સંમેલનમાં પાકિસ્તાનના સમર્થક અઝરબૈજાનને પૂર્ણ સભ્યપદ આપવાનો ઇન્કાર કરી દીધો છે. ભારતે SCOમાં બાકુની ફૂલ મેમ્બરશિપ માટેની બિડ ફગાવી દીધી છે. પાકિસ્તાન સાથે અઝરબૈજાનના ગાઢ સંબંધોના કારણે ભારતે આ પગલું લીધું હોવાનું દાવો તુર્કીશ મીડિયામાં કરવામાં આવ્યો છે.
- Advertisement -
અઝરબૈજાનના મીડિયાએ ભારત પર ‘બહુપક્ષીય રાજદ્વારી’ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. તેના મતે, ભારતે અઝરબૈજાનની શાંઘાઈ સહકાર સંગઠન(SCO)માં સભ્યપદની મહત્ત્વાકાંક્ષાને અટકાવી દીધી છે. આ નિર્ણય ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને અઝરબૈજાનના સમર્થન સાથે જોડાયેલો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
અઝરબૈજાના એક બ્રોડકાસ્ટ મીડિયા અનુસાર, ચીને બાકુ(અઝરબૈજાન)ના સભ્યપદને ટેકો આપ્યો હોવા છતાં ભારતે SCO સમિટમાં અઝરબૈજાનની અરજીનો વિરોધ કર્યો છે. આ ન્યૂઝ પબ્લિકેશને દાવો કર્યો છે કે, ભારતનો આ નિર્ણય બહુપક્ષીય રાજદ્વારી અને “શાંઘાઈ સ્પિરિટ”ના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. વધુમાં દલીલ કરી છે કે દ્વિપક્ષીય વિવાદોને બહુપક્ષીય મંચ પર લાવવા જોઈએ નહીં. આ અહેવાલો પર ભારતે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. આ અહેવાલ મુજબ, SCO કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ સ્ટેટ સમિટ દરમિયાન અઝરબૈજાનના પ્રમુખ ઇલ્હામ અલીયેવે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથેની મુલાકાતને ધ્યાનમાં રાખતાં ભારતે તેની સાથે બદલાની ભાવનાથી આ કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ મૂક્યો હતો.
ભારત-પાકિસ્તાન તણાવ સમયે આપ્યું હતું સમર્થન
- Advertisement -
કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તણાવ દરમિયાન અઝરબૈજાને પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું. શાહબાઝ શરીફે અઝરબૈજાનના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સાથે એકતા દર્શાવવા બદલ અલીયેવનો આભાર માન્યો હતો. અલીયેવે પાકિસ્તાનને ભારત પરની ‘જીત’ બદલ અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું વર્ચસ્વ હોવા છતાં અઝરબૈજાન ઇસ્લામાબાદ સાથેના સંબંધોમાં ‘ભાઈચારા’ ને પ્રાધાન્ય આપે છે.
કાશ્મીરમાં 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકી હુમલો થયો હતો. જેમાં નિર્દોષ 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાનો બદલો લેતાં 7 મેના રોજ ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર શરુ કર્યું હતું. જેમાં પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીના નવ ઠેકાણે હુમલા કરી 100થી વધુ આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા હતા. પહલગામ આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકી સંગઠન ટીઆરએફએ લીધી હતી. જો કે, બાદમાં ફેરવી તોળ્યું હતું.
શરીફ અને પુતિન વચ્ચે વાતચીત
બીજી તરફ, મંગળવારે શહબાઝ શરીફે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ‘છેલ્લા ઘણા વર્ષોમાં આપણા સંબંધોમાં સુધારો થયો છે. હું પણ આપણા દ્વિપક્ષીય સંબંધોને નિર્ણાયક રીતે મજબૂત બનાવવા માંગુ છું. પાકિસ્તાન રશિયાના ભારત સાથેના સંબંધોનું સન્માન કરે છે.’ તેમણે મોસ્કો સાથે ઇસ્લામાબાદના સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓ SCO સમિટમાં ભાગ લેવા માટે ચીનમાં હતા.