એટીએસ દ્વારા ફ્રીઝ ખાતા સહિત પુરાવા એકત્ર કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસઓજી પીઆઇ અને માણાવદર સીપીઆઇ અને એએસઆઇ દ્વારા બેંક એકાઉન્ટો ફીઝ કરી અનફ્રીઝ કરવાના મામલે 3 સામે બી-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાયા બાદ એટીએસને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી હતી. ત્યાર બાદ એટીએસએ તરલ ભટ્ટની ધરપકડ કર્યા બાદ જૂનાગઢ કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવેલ ત્યારે જૂનાગઢ કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કોર્ટે તરલ ભટ્ટના તા.7 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરતા એટીએસની ટીમ તરલ ભટ્ટને લઇને એસઓજી પોલીસ સ્ટેશને લઇ જવામાં આવેલ અને ત્યાં પુછપરછ કરી ફ્રીઝ કરેલા ખાતા સહિતની તમામ વિગતો સાથે પુરાવા એકત્ર કર્યા હતા. ત્યારે એટીએસ દ્વારા ચાર દિવસના રિમાન્ડ દરમિયાન હજુ અનેક ઘટસ્ફોટ થાય તેવા સંકેત મળી રહ્યા છે. જયારે હજુ એસઓજી પીઆઇ ગોહીલ પણ ફરાર છે. તેને પણ ઝડપી લેવા વધુ તપાસ ચાલી રહી છે. ત્યારે આગામી દિવસોમાં તોડકાંડ મામલે નવાજુની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે.