અરવલ્લી જીલ્લાના લીંબ ગામે તાજેતરમાં દલિત સમાજના લગ્ન પ્રસંગે કેટલાક ઈસમોએ રૂકાવટ કર્યાની ફરિયાદ ઉભી થયા પછી લીંબ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર દલિત પરિવાર ભયના ઓથાર હેઠળ આવી ગયો હતો. અરવલ્લી જીલ્લાના દલિત સમાજ અને સભ્ય સમાજના લોકોમાં સમગ્ર ઘટનાને પગલે રોષ વ્યાપી ગયો હતો. આખી ઘટનાની જાણ થતાં અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે તાબડતોબ અરવલ્લી જીલ્લા પોલીસના એસ સી, એસ ટી સેલના ડીવાયએસપી વિશાલ રબારી, ઈન્ચાર્જ પી.આઈ એન જી ગોહિલ, આંબલીયારા પોલીસ સબ ઇન્સ્પેકટર આર એમ ડામોર વિગેરેએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ દલિત પરિવારનો લગ્ન પ્રસંગ પુર્ણ કરાવ્યો હતો. આ બાબતે આંબલીયારા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ ગુ. ર. નં. ૧૧૧૮૮૦૦૧૨૧૦૦૩૮/૨૦૨૧ મુજબ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી ગુનાના આરોપીઓ વાૅન્ટેડ હોય જે આરોપીઓને શોધી કાઢવાની તાકીદ ઉચ્ચ કક્ષાની તાકીદ પછી આંબલીયારા પી એસ આઇ આર એમ ડામોર અને તેમની ટીમે આરોપીઓને લીંબ ગામની સીમમાંથી ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં સંજયસિહ ચૌહાણ, યુવરાજ ચૌહાણ, ઈન્દ્રરાજ ચૌહાણ, વિજય ચૌહાણ, માનસિંહ ચૌહાણ, સંજય બી ચૌહાણ, શૈલેષ ચૌહાણ, હિતેન્દ્ર ચૌહાણ અને પ્રવિણસિહ ચૌહાણ તમામ રહે. લીંબ તા બાયડ તમામ નવ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જગદીશ સોલંકી (અરવલ્લી)


