PI જે. એમ. કૈલાની ટીમ દ્વારા માદક પદાર્થની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ
રાજસ્થાનથી રણુંજા વિસ્તારમાં આવેલા ગાંજો SOGએ ઝડપી પાડ્યો
- Advertisement -
અગાઉ પણ ખેપ મારી ગયો હોવાની શંકાએ રિમાન્ડ મેળવવા તજવીજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટ એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ શિવધામ સોસાયટી પાછળ જય સોમનાથ સોસાયટી-1માં રાજસ્થાનથી એક શખ્સ ગાંજાનો મોટો જથ્થો લઇને આવ્યો છે અને કટીંગ થઇ રહ્યું છે તેવી બાતમી પરથી દરોડો પાડી અહિ રહેતાં એક શખ્સ,રાજસ્થાન સાંચોરથી ગાંજો લઇને આવેલા શખ્સ અને નાના મવા રોડ ક્વાર્ટરમાં રહેતાં લોકલ સપ્લાયરને કટીંગ વખતે જ ઝડપી લઇ રૂા. 3,98,400નો 39.540 કિલોગ્રામ ગાંજો કબ્જે લેવાયો છે. પોલીસે ગાંજો,મોબાઇલ ફોન,રોકડા મળી કુલ રૂા. 4,17,900નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે આજીડેમ પોલીસમાં ગુનો દાખલ કરાવાતાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
જાણવા મળ્યા મુજબ શહેરમાં માદક પદાર્થની હેરાફેરી થતી અટકાવવા અને સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશને વેગવંતી રાખવા સુચના મળી હોઇ તે અંતર્ગત એસઓજીની ટીમ આવા કેસ શોધવા પ્રયત્નશીલ હતી. એ દરમિયાન હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા,કોન્સ. વિરદેવસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ જય સોમનાથ સોસાયટી-1માં જય મુરલીધર આદેશ નામના મકાનમાં રહેતાં વજેનાથ ભગવાનદાસ ગોસ્વામી નામના શખ્સના ઘરે રાજસ્થાનથી એક શખ્સ ગાંજો લઇને આવ્યો છે,તેમજ લોકલ સપ્લાયર પણ હાજર છે. આ ત્રણેય ગાંજાનું કટીંગ કરી રહ્યા છે.
આ બાતમી મળતાં જ પીઆઇ જે. એમ. કૈલા,પીએસઆઇ એમ. જે. આહિર,એએસઆઇ ડી. બી. ખેર,હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ,કોન્સ. વિરદેવસિંહ,કોન્સ. ફિરોઝભાઇ રાઠોડ,ડ્રાઇવર હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે દરોડો પાડયો હતો. પોલીસે ઘરમાં હાજર ત્રણેયને ઓળખ આપી નામ સરનામા પુછતાં ત્રણ શખ્સોએ પોતાના નામ વજેનાથ ભગવાનનાથ ગોસ્વામી (ઉ.વ.24) હોવાનું અને પોતે આ જય મુરલીધર આદેશ મકાનમાં જ ભાડેથી રહેતો હોવાનું કબુલ્યું હતું. બીજા શખ્સે પોતાનું નામ બાબુલાલ ભારમલજી બિશ્નોઇ (ઉ.વ.44-રહે. ઢાકે કી ઢાણી,જૈરાલ ગામ ખારા,તા. સાંચોર જાલોર રાજસ્થાન) જણાવ્યું હતું. ત્રીજા શખ્સે પોતાનું નામ આશુ શ્રીનારાયણ કુશવાહા (ઉ.વ.35-રહે. બ્લોક નં. 10/1649,આરએમસી ક્વાર્ટર,નાના મવા સર્કલ) કહ્યું હતુ.
ગાંજાની બાતમી હોઇ પોલીસે રૂમમાં તપાસ કરતાં પાંચેક બાચકા જોવા મળ્યા હતાં. જેના મોઢા ખુલ્લા હતાં. તેની અંદર વનસ્પતીજન્ય બીજ સહિતના ડાળખા,લીલા પાંદડાનો પદાર્થ હોઇ પીઆઇ કૈલાએ સુંઘી જોતાં અને પંચના માણસો પાસે ખરાઇ કરાવી એફએસએલ અધિકારી એફ.આઇ. કાદરી પાસે પરિક્ષણ કરાવતાં આ પદાર્થ ગાંજો હોવાનો પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો. આથી ઝડપાયેલા ત્રણેય વિરૂધ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ એમ. જે. આહિરે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આ ગાંજાના જથ્થાનું વજન કરાવતાં તેનું વજન 39 કિલો 540 ગ્રામ થયો હતો. જેની કિમત રૂા. 3,94,500 ગણી કબ્જે કરાયો હતો. તેમજ મોબાઇલ ફોન ત્રણ,રોકડા 7500 મળી રૂા. 4,17,900નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જેના ઘરમાં દરોડો પાડવામાં આવ્યો તે વજેનાથ ગોસ્વામી કોઠારીયામાં ભાગીદારમાં મોબાઇલ પાર્ટસ,રિચાર્જની દૂકાન ધરાવે છે. તેનો એક ભાઇ માદક પદાર્થના ગુનામાં જેલમાં છે. જ્યારે બાબુલાલ બિશ્નોઇ રાજસ્થાથની વજેનાથને આ ગાંજો આપવા આવ્યો હતો. ત્રીજો આરોપી આશુ કુશવાહા એક દોઢ વર્ષ પહેલા પણ એસઓજીના હાથે માદક પદાર્થના કેસમાં પકડાયો હતો. તે વજેનાથ પાસેથી ગાંજો લઇ છુટક પડીકીઓ બનાવી સપ્લાય-વેંચાણ કરવાનું કામ કરે છે. આ ત્રણેયની વિશેષ તપાસ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ કરવામાં આવશે. અગાઉ પણ રાજસ્થાની બાબુલાલ આ રીતે ગાંજાની ખેપ મારી ગયાની શક્યતા અંગે તપાસ કરવામાં આવશે.