ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારી સંદર્ભે પ્રથમ બેઠક યોજતા કલેકટર
ચાર દિવસીય ગિરનાર લીલી પરિક્રમાનો 12 નવેમ્બરથી થશે પ્રારંભ
- Advertisement -
ધાર્મિક મહત્વ મુજબ નિયત સમયે ગિરનાર પરિક્રમા શરૂ કરવા અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ ગિરનાર ફરતે 36 કિમિ પગપાળા યોજાતી લીલી પરિક્રમા આગામી તા.12 નવેમ્બરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે જેના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્રની પ્રથમ બેઠક કલેકટરના અધ્યક્ષ સ્થાને મળી હતી જયારે આ વર્ષે ગિરનાર પર્વત સહીત જંગલ વિસ્તારમાં ખુબ સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે જેના લીધે આ વર્ષે 15 લાખ જેટલા પરિક્રમાર્થીઓ પરિક્રમામાં જોડાવાની ધારણા છે.ત્યારે ભાવિકોની સુખાકારી માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને આ પ્રથમ બેઠકમાં રસ્તા, પાણી, વીજળી તેમજ આરોગ્ય સાથે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જેવી બાબતો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સબંધિત વિભાગને કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.
ચાર દિવસીય ગિરનાર લીલી પરિક્રમા તા.12 નવેમ્બરના રોજ પ્રારંભ થશે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાવિકોને ગિરનાર લીલી પરિક્રમાના ધાર્મિક મહત્વ મુજબ નિયત સમયે અને તિથિએ પરિક્રમા શરૂ કરવા ઉપરાંત ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ન લાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમા પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી,પાણી, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. ઉપરાંત નળ પાણીનીઘોડીએ ભાવિકોના થતા ઘસારાને ધ્યાન રાખી વીજળી પાણીની સુવિધા સાથે વિશેષ વ્યવસ્થાઓ રાખવા માટે પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરે ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ પરના અધિકારીઓને સ્થળ મુલાકાત કરી દિવાળી ના તહેવાર પૂર્વે જરૂરી આયોજન કરવા આપ્યા હતાં.આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાને રાખી પરિવહન ટ્રાફિક વ્યવસ્થાપન, પાર્કિંગ વ્યવસ્થા માટે પણ જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા તેમજ ગિરનાર લીલી પરિક્રમા જવા માટેના રસ્તાઓ અને જંગલ વિસ્તારના રૂટના રસ્તાઓની જરૂરી મરામત માટે પણ કલેકટરે સંબંધીત અધિકારીઓને સૂચના આપી હતી. પર્યાવરણ જાળવણી માટે સેવાકીય સંસ્થાઓનો સહયોગ પણ લેવામાં આવશે તથા આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોનું આરોગ્ય ન જોખમાય તે માટે ખાદ્ય પદાર્થોની ચકાસણી ઉપરાંત દૂધ સહિતનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ રહે તે માટે તકેદારી લેવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન.એફ.ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ઉપરાંત વન વિભાગ, આરોગ્ય, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, પાણી પુરવઠા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.