જૂલાઈ મહિનામાં બે દિવસ સુધી કોલકત્તામાં રોકાશે
ખાસ-ખબર સંવાદદાતા
ફૂટબોલની વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટીના ટીમના ગોલકિપર એમિલિયાનો માર્ટિનેઝ ભારત આવી રહ્યો છે. તે એક પ્રમોશનલ મુલાકાત માટે ભારત આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. 30 વર્ષીય માર્ટિનેઝ જૂલાઈ મહિનામાં બે દિવસ સુધી કોલકત્તામાં રહેશે. જો કે તારીખોનું એલાન હજુ સુધી કરવામાં આવ્યું નથી.
માર્ટિનેઝ 2022 ફીફા વર્લ્ડકપ જીતનારી આર્જેન્ટીનાનો ગોલકિપર રહ્યો છે. ફાઈનલમાં આ ગોલકિપરે બે ગોલ બચાવ્યા હતા.
તેને ગોલ્ડન ગ્લવ્ઝ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. આ એવોર્ડ ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ગોલકિપરને આપવામાં આવે છે.જાણવા મળ્યા પ્રમાણે માર્ટિનેઝના આવવાની સંભવિત તારીખ 20-21 જૂન અથવા 1-3 જૂલાઈ હોઈ શકે છે. આ અંગેના કાર્યક્રમને રૂપરેખા આપવામાં આવી રહી છે.
ફીફા વર્લ્ડકપ-2022ના ફાઈનલ મુકાબલામાં ફૂલટાઈમ અને એકસ્ટ્રા ટાઈમમાં સ્કોર 3-3થી બરાબર રહ્યા બાદ આર્જેન્ટીનાએ શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવ્યું હતું. આ મેચમાં માર્ટિનેઝે બે શાનદાર ડિફેન્ડ કર્યા હતા. આ પહેલાં ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં નેધરલેન્ડ વિરુદ્ધ પણ માર્ટિનેઝે પેનલ્ટી શૂટઆઉટમાં બે સેવ કર્યા હતા. આર્સેનલ અને એસ્ટન વિલા માટે શાનદાર પ્રદર્શન કર્યા બાદ માર્ટિનેઝને વર્ષ 2021માં પહેલીવાર આર્જેન્ટીના માટે રમવાની તક મળી હતી.