દીકરીની સારવાર માટે રજા લેનાર શિક્ષિકાના ઓરિજિનલ પ્રમાણપત્રો પરત આપવા ઈન્કાર
ખાસ-ખબર સંવાદદાતા
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના વિવાદીત વિડીયો તો સમગ્ર સમાજને હચમચાવી જ રહ્યા છે, સાથોસાથ આ સંસ્થાઓના શૈક્ષણિક સંકુલોમાં પણ કેવી મનમાની ચાલે છે તે વાતો પણ બહાર આવવા લાગી છે. આવા જ અન્યાયનો ભોગ બનનાર મજબૂર માતા અને શિક્ષિકા ખ્યાતિ સોમૈયાના જણાવ્યા મુજબ તેઓ સ્વામિનારાયણ ગુરૂકુળ ઢેબર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ઈન્ટરનેશનલ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં ફરજ બજાવે છે. તેઓ સીંગલ મધર છે અને તેમની 10 વર્ષની માસુમ દીકરીને પણ મેડીકલ રીતે ધ્યાન રાખવું પડે તેવી હાલત છે. જૂન માસમાં તેઓ સ્વામિનારાયણ ગુરૂકુળની સંસ્થામાં જોડાયા ત્યારે જ આ બધી વાત શાળાના સંચાલકોને જણાવી હતી અને તેમની દીકરીના હેલ્થ સંબંધે જરૂર પડે તો ઈમરજન્સી રજા આપવી પડશે તેવી સ્પષ્ટ વાત જણાવી હતી અને શાળા સંચાલકોએ પણ હા પાડી હતી. ખ્યાતિબેનની દીકરીની તબિયત અચાનક લથડતાં તેઓ શાળાના કો-ઓર્ડિનેટર વિશ્ર્વા મહેતા મેડમ પાસે રજા માંગવા ગયા પણ તમામ પરિસ્થિતિ જાણતા હોવા છતાંય વિશ્ર્વામેડમે અવારનવારની વિનંતી બાદ પણ રજા આપવાનો ઈન્કાર કરતાં લાચાર અને મજબૂર ખ્યાતિમેડમે સંસ્થાના એકેડેમીક હેડ શ્રીકાંત તન્નાને વાત કરી.
- Advertisement -
શ્રીકાંત તન્ના અને વિશ્ર્વા મહેત્તા સામે DEOએ કડક પગલાં ભરવા જોઈએ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કૂલ રાજકોટના એકેડમિક હેડ શ્રીકાંત તન્ના તેમજ વિશ્ર્વા મહેતા શાળાના શિક્ષકોના ઓરીજીનલ ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ પોતાની પાસે જમા કરી લેતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. શ્રીકાંત તન્ના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકોના ઓરીજીનલ ડોક્યુમેન્ટ જમા કરી લીધા બાદ તેમને પરત કરતા નથી. અન્ય શાળામાં શિક્ષકો જતા ન રહે તે માટે ડોક્યુમેન્ટ જમા કરી શિક્ષકોને ફરજીયાત નોકરી કરવા માટે મજબૂર કરતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કૂલના એકેડમિક હેડ શ્રીકાંત તન્ના તેમજ વિશ્ર્વા મહેતા વિરુદ્ધ ડીઈઓ દ્વારા કડક પગલાં ભરાવવા જોઈએ.
મહિલા કો-ઓર્ડિનેટર પણ માતાની વ્યથા ન સમજી શક્યા!
બીમાર દીકરી માટે રજા માંગનાર ખ્યાતિ સોમૈયાની દીકરીનો મેડીકલ પ્રોબ્લેમ, ખ્યાતિ સીંગલ મધર છે તે વાત અને ખ્યાતિની માતા ટિફીન બનાવવાનું કામ કરતાં હોવાથી બીમાર પૌત્રી ઉપર ધ્યાન ન આપી શકે આવી તમામ બાબતો જાણતાં હોવા છતાંય અને પોતે પણ એક મહિલા હોવા છતાંય કો-ઓર્ડિનેટર વિશ્ર્વા મહેતાનું જક્કી વલણ અને બીજાને હેરાન કરવાની માનસિકતા શિક્ષણ જગત માટે લાંછનરૂપ ઘટના માની શકાય.
- Advertisement -
કરંટ સેલેરી અને ડીપોઝીટની રકમ પણ ન આપી અન્યાયનો ભોગ બનનાર શિક્ષિકા ખ્યાતિ સોમૈયાને ભારે માનસિક આઘાત
સ્વામિનારાયણ ગુરુકુળ ઢેબર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ઈન્ટરનેશનલ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલની ચોંકાવનારી ઘટના
શ્રીકાંતસરે પરિસ્થિતિની નાજુકતાને સમજીને કહ્યું કે તમે જતાં રહો, હું વિશ્ર્વામેડમ સાથે વાત કરી લઉં છું. ફરી ખ્યાતિમેડમે વિશ્ર્વામેડમને વાત કરી પણ તેઓ રજા આપવા માટે ટસના મસ ન થયા. અંતે લાચાર માતા ખ્યાતિમેડમે હું જાવ છું અને કાલથી સર્વિસ ઉપર નહીં આવું એવું જણાવીને ઘરે જતાં રહ્યા. આ ઘટનાને આઠ દિવસ જેવો સમય વિતી ગયાનું ખ્યાતિમેડમ જણાવે છે. માસુમ દીકરી માટે નોકરીને દાવ પર લગાડનાર ખ્યાતિ સોમૈયાએ સર્વિસમાં જોઈન્ટ થતાં સમયે ધો. 10, ધો. 12, ટી.વાય.ની માર્કશીટ અને ડીગ્રી સર્ટિફીકેટ જે-તે સમયે ઓરિજનલ જમા કરાવ્યા હતા, જે પરત આપવાના બદલે સંસ્થાના જવાબદારો દ્વારા મેઈલ મોકલીને ઓરિજનલ પ્રમાણપત્રો, ચાલુ માસનો પગાર અને ડીપોઝીટ સ્વરૂપના 15-16 હજાર જેવી રકમ આપવાનો ઈન્કાર કરી દીધો. સ્વામિનારાયણ ગુરૂકુળ જેવી માતબર સંસ્થાના શાળા સંચાલકોના આવા અમાનવીય વલણથી ખ્યાતિ સોમૈયાને ભારે આઘાત લાગ્યો. ખ્યાતિના જણાવ્યા મુજબ તેમની 10 વર્ષની દીકરીની અગાઉ તબિયત ખરાબ થઈ ગયા બાદ ડોકટરે સ્પષ્ટ જણાવેલું કે તાવ જેવી બીમારીને ગંભીર સ્વરૂપે લેવી. આ વાત શાળાના જવાબદારો જાણતા હોવા છતાંય એક લાચાર માતાને મેન્ટલી હેરાન-પરેશાન કરવાની રાક્ષસી વૃત્તિ કેમ ધરાવતાં હશે? એ પણ ઉલ્લેખનીય છે કે શાળાના શિક્ષકો રજા ઉપર જાય ત્યારે સંસ્થા દ્વારા પગાર કટ કરવામાં આવે છે. ખ્યાતિમેડમે પણ કપાત પગારે જ રજા માંગી હોવા છતાંય રજા મંજૂર કરવામાં આવી ન હતી. હદ તો ત્યારે થઈ કે રજા આપવાના બદલે વિશ્ર્વા મહેતાએ એવું જણાવી દીધું કે ‘મારી પાસે છોકરાઓને સંભાળવા ટીચર નથી, તમારા એક બાળક માટે હું 90 બાળકોનું ન બગાડી શકું’ આવા શબ્દોના ઉલ્લેખથી ખ્યાતિમેડમ માનસિક રીતે પણ ભાંગી પડ્યાનું તેઓ જણાવે છે.
સ્વામિનારાયણ ગુરુકુળની શાળામાં શિક્ષકોનું શોષણ!
રાજકોટના ઢેબર રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળની શાળા બાળકોને સંસ્કાર આપવા માટે નહીં પરંતુ શિક્ષકોનું શોષણ કરવા માટે પંકાતી જાય છે. અહીં શિક્ષકો પાસે ઓછા પગારમાં વધુ કામ કરાવવામાં આવે છે એટલું જ નહીં પરંતુ શિક્ષકો પાસે શૈક્ષણિક કાર્ય ઉપરાંત સંસ્થાનું ધાર્મિક કાર્ય પણ કરાવવામાં આવે છે. વળી કોઈ શિક્ષક એક દિવસની રજા રાખે તો પણ તેનો એક દિવસોનો પૂરો પગાર કાપી લેવામાં આવે છે. નિયમ મુજબની રજા પણ શિક્ષકોને આપવામાં આવતી નથી. સ્વામિનારાયણ ગુરુકુળ શાળાના સંચાલકોની મનમાનીથી કંટાળી ઘણા શિક્ષકો અહીંથી છૂટા થઈ ગયા છે અને ઘણા શિક્ષકો છૂટા થવા ઈચ્છે છે પરંતુ તેમના ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ શાળા સંચાલકો દ્વારા જમા કરી લેવામાં આવ્યા છે અને પાછા આપવામાં આવી રહ્યા નથી એટલે અહીં નાછૂટકે નોકરી કરતા શિક્ષકો આ શાળા છોડી અન્ય શાળામાં નોકરી માટે જઈ શકતા નથી.