લેખક પરખ ભટ્ટનો ધગધગતો ખુલ્લો પત્ર
પોતાની લીટી લાંબી કરવાના બદલે અન્ય સંપ્રદાયની લીટી ભૂંસવાની કે અન્ય સંપ્રદાયને નીચો બતાવવાની શરૂ થયેલી હોડ સમગ્ર હિન્દુ સમાજને ખતમ કરી નાખશે. આવા પ્રયાસો સામે સનાતન ધર્મના રક્ષક સમાન સાધુ-સંતોએ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું જ છે. સાથોસાથ કલમના ઉપાસકો પણ મેદાનમાં આવ્યા છે. આવા જ એક કલમસેવી લેખક પરખ ભટ્ટના પુણ્ય-પ્રકોપને ‘ખાસ-ખબર’ના વાંચકો માટે ખાસ સ્ટોરી સ્વરૂપે અક્ષરશ: મૂકવામાં આવ્યો છે…
- Advertisement -
પ્રતિ
અપૂર્વમુનિ સ્વામી,
ખરૂં કહું તો આ વિવાદમાં કશું જ બોલવાની ઈચ્છા નહોતી. સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સાધુઓ જે કંઈ બોલ્યા એ એમની અજ્ઞાનતા અને અલ્પમતિ પૂરવાર કરે છે… પરંતુ આપનો એક વીડિયો મારા ધ્યાનમાં આવ્યો; જેમાં આપ નાકનાં ફણગાં ફુલાવી, નેણ ઊંચા કરી, ચહેરા પર કુટિલ-વ્યંગાત્મક સ્મિત અને અત્યંત અહંકારભાવના અતિરેક સાથે કહો છો કે અમે કોઈ અભણ બાવાઓ નથી. અમે કોઈ અભણ ભિખારીઓ કે ફરનારા સાધુઓ નથી. ગલીએ-ગલીએ ફરીને હાથ લાંબો કરીને ભીખ માંગનારા નથી. વી આર ઓલ એજ્યુકેટેડ સાધુ’ઝ! વી ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ. ન કેવળ તમારી સ્કૂલોમાં, પણ કેમ્બ્રિજ- ઑક્સફોર્ડ ને હાર્વર્ડની અંદર લેકચર આપનારા સાધુ છીએ.
- Advertisement -
હિંદુ એકતાને બદલે સંપ્રદાયો અને નાત-જાતના વાડામાં સમાજને વેચવાના હિન પ્રયાસો સાધુને ન શોભે
ફેબ્રિકેટેડ સાધુત્વ છોડીને વાસ્તવિક સંન્યાસીની જીવનશૈલી અપૂર્વમુનિએ સમજવી જરૂરી
સાધુ-વેશ પહેરવો અને સાધુસત્ત્વને પામવા વચ્ચેનો ભેદ અપૂર્વમુનિ ભૂલ્યા!
સંપ્રદાયો અને નાત-જાતમાં વહેંચાઈ ગયેલી સનાતન સંસ્કૃતિ એક એવા પડાવ પર આવીને ઊભી છે, જ્યાં આ બધા વાડા સામૂહિક હિંદુ-એકતા માટે બાધારૂપ સાબિત થઈ રહ્યા છે એમાં વધારો કરવાની નહીં, પણ એનો આર્તનાદ સાંભળવાની જરૂર છે એટલે આ ઉઘાડો પત્ર આપને લખી રહ્યો છું. આપે સાધુ-વેશ ધારણ કર્યો, પરંતુ સાધુતત્ત્વ અને સાધુસત્ત્વને ન પામી શક્યા, એ અંગે હું ખેદ વ્યક્ત કરૂં છું. આપ એ સંસ્કૃતિ અને સાધુત્વનું અપમાન કરી રહ્યા છો, જેના પ્રતાપે આપ ભગવા વસ્ત્રો ધારણ કરીને દેશ-વિદેશની યાત્રા કરી રહ્યા છો. જે ભગવાએ આપને આટલું માન-સન્માન અપાવ્યું, એના પરત્વે જ આટલી કૃતઘ્નતા?
મારા આપને કેટલાક પ્રશ્ર્નો છે. નાથ સંપ્રદાય, નાગા સાધુઓ, ઉદાસિન અનુયાયીઓ અંગે ક્યારેય આપે કશું વાંચ્યું છે? ઉપરોક્ત વિધાન ઉચ્ચારતાં પહેલાં આપે ભિક્ષા માંગવા જવા પાછળના તર્ક અંગે આપના ગુરુ પાસેથી કંઈ જાણ્યું છે? ઓહ, સોરી… આપના કોઈ સિદ્ધગુરુ છે ખરા કે પછી સીધા જ ગાદી ઉપર બેસી ગયા?
જો આપ કેદારનાથની મુલાકાતે જાઓ તો તેના ક્ષેત્રપાળ ભૈરવના દર્શને અચૂક જજો. એ જગ્યાની સારસંભાળ જે રાખે છે, એમનું નામ છે- શનિનાથ બાબા! જે પોતે કાનફટ્ટ છે… એક એવી વ્યક્તિ જેમણે વર્ષોની સાધના અને તપસ્યા બાદ ગુરુ પાસેથી દીક્ષા લઈ આખેઆખા કાન વીંધાવ્યા છે! એ વ્યક્તિ પાસેથી જાણજો કે સંન્યાસી માટે ભિક્ષા કેટલી અગત્યની છે!
ભારતના મોટાભાગના સંપ્રદાયોમાં દીક્ષાપ્રાપ્તિ અને સંન્યાસ ધારણ કર્યા બાદ સર્વપ્રથમ પોતાના પરિવારની ભિક્ષા માંગવા જવાનું કથન છે, જે સંસારમાં વ્યક્તિમાં જન્મ લીધો, જે પરિવારમાં તેનો ઉછેર થયો, જે પરિવારે તેને પ્રેમપૂર્વક સાચવ્યો એની જ પાસેથી સંન્યાસ-જીવનની સર્વપ્રથમ ભિક્ષા લેવા જવાનો અર્થ છે: મમત્વ, મોહ અને માયાનો ત્યાગ!
ભિક્ષા માંગવી એ સાધુ માટે વાસ્તવમાં ભિખારીવૃત્તિ નહીં, પરંતુ સમષ્ટિને એકસમાન દ્રષ્ટિકોણથી જોવાની ઘટના છે. આપ જે ભણતર અને જીવનશૈલીના ગુમાનમાં રાચી રહ્યા છો, એના ખોખલાપણાં અંગે કોઈ ગુરુએ ક્યારેય આપને શીખવ્યું જ નથી લાગતું. આખા વિશ્ર્વમાં માત્ર આપ જ એવા સાધુ નથી, જે એજ્યુકેટેડ અને સોફિસ્ટિકેટેડ જીવન જીવીને આવ્યા હોય. બીજા અસંખ્ય છે. હિમાચલ પ્રદેશમાં વસતાં શ્રીવિદ્યા ઉપાસક ઓમ સ્વામીનું નામ સાંભળ્યું છે? ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને કેનેડામાં આપબળે ફક્ત અઠ્ઠાવીસ વર્ષની ઉંમરમાં કરોડોનું એમ્પાયર ઊભું કરનાર એ વ્યક્તિએ 30માં વર્ષે એકઝાટકે સંસારનો ત્યાગ કરીને બે વર્ષ સુધી આકરી સાધના કરી! સ્વયં રાજરાજેશ્ર્વરીનો એમને સાક્ષાત્કાર થયો અને હિમાલયમાંથી પરત ફર્યા બાદ જીવનની પહેલવહેલી ભિક્ષા તેઓ પોતાના પરિવાર પાસે માંગવા ગયા!
નાથ સંપ્રદાય, નાગા સાધુઓ, ઉદાસીન સંપ્રદાયની પરંપરાઓ ખોટી? પોતાની જાતને એજ્યુકેટેડ ગણાવતાં અપૂર્વ સ્વામીની અહંકારથી ભરપૂર વાણી
ઓમ સ્વામી ઉપરાંત અભયચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનું નામ સાંભળ્યું છે? કરોડોની મિલ્કત, સ્થાવર-જંગમ સંપત્તિ અને ફાઈવ સ્ટાર હોટેલ્સની લાઈફસ્ટાઈલ ત્યાગીને ઈશ્ર્વરની ખોજમાં નીકળી પડેલી એ વ્યક્તિઓને શું આપ ભિખારી કહેશો? એક વાસ્તવિક સાધક અને બની બેઠેલાં ધર્મના દંભી ઠેકેદાર વચ્ચે આટલો જ તફાવત હોય છે, અપૂર્વમુનિજી! માફ કરશો, પણ ‘સાધુ’ શબ્દ આપના મુખે જરા પણ શોભતો નથી. સેવા અને સાધના કરે એ સાધુ હોય. આપના ખાતામાં દસ હજાર લોકોનું ધ્યાન જમા થયેલું છે? ભગવો ધારણ કર્યા બાદ શું આપે જીવનમાં ક્યારેય અસત્ય ન ઉચ્ચાર્યુ હોય એવું બન્યું છે? જો આ પ્રશ્ર્નોના જવાબ નકારમાં હોય, તો મહેરબાની કરીને આપે ‘સ્વામી’ પદનો ત્યાગ કરવો જોઈએ. સનાતન સંસ્કૃતિની ગરિમાનું ખંડન કરવાનો આપને કોઈ અધિકાર નથી! થોડા સમય પહેલાંના વીડિયોમાં આપ ‘પાટીદાર’, ‘રાઠોડ’, ‘પરમાર’ સંબંધિત જ્ઞાતિવાદી ટિપ્પણીઓ કરતાં જોવા મળ્યા હતાં… આપના શબ્દો હતા, આપણા (પાટીદાર) સમાજના કલેકટર ને કમિશનર થવા જોઈએ! અરે, સાહેબ… સાધુની ભલા કોઈ જ્ઞાતિ હોય? કોઈ સમાજ હોય? સાધુ તો ચલતા ભલા. જૂના સમયમાં તો ત્રણ દિવસથી વધારે એક જગ્યા પર સાધુઓ રોકાતાં સુદ્ધાં નહીં. ગુરુઓનો સ્પષ્ટ આદેશ રહેતો કે સમાજ માટે આસક્તિ પેદા થાય, એવા એક પણ સ્થાન ઉપર ત્રણ દિવસથી વધારે રોકાવું નહીં! સાધુ તો પોતાના અનુયાયીઓને આત્મા, જીવાત્મા અને પરમાત્મા સાથે જોડવાનો પ્રયત્ન કરે! જ્યારે આપ તો ફક્ત ‘હું-હું’કારમય જીવન જીવીને તુંડમિજાજીપણું અને ઉદ્ધતાઈનું પ્રદર્શન કરી રહ્યા છો. સંસાર છોડ્યાના આટઆટલા વર્ષો બાદ પણ જો આપને સદ્બુદ્ધિ ન આવી હોય, તો મારા આ એક પત્રથી આવી જશે એવું માનવું ભૂલભરેલું છે. આમ છતાં, એક વિનમ્ર પ્રયાસ જરૂરથી કરવો એવું મારા કૃષ્ણ મને શીખવે છે. મહાભારતનું યુદ્ધ નિશ્ર્ચિત હતું, આમ છતાં દુર્યોધન પાસે શાંતિપ્રસ્તાવ લઈને જવામાં કૃષ્ણને સ્વધર્મ દેખાયો… બસ, એ જ પથ પર ચાલવાનો આ એક પ્રયાસ હતો. આપ અને આપના સંપ્રદાયોના કેટલાક લોકોને લીધે આખા સ્વામીનારાયણ પંથની ગરિમા લજવાઈ રહી છે, એટલી સીધી અને સરળ વાત આપને સમજાય તો સારૂં! ફેબ્રિકેટેડ સાધુત્વ છોડીને વાસ્તવિક સંન્યાસીની જીવનશૈલીને અનુસરવાનો પ્રયત્ન કરો, એવી ઈશ્ર્વર પાસે અભ્યર્થના.
સૌજન્ય: પરખ ભટ્ટ
(તંત્ર-ઉપાસક, લેખક, ઈલેક્ટ્રિકલ એન્જિનિયર)