24 કલાકમાં રિપોર્ટ આપવા કમિશનરનો આદેશ, પોલીસે ફરિયાદ પણ લીધી નહીં
ચાર વખત શિક્ષણ મંત્રીને મંત્રીને લેખિત ફરિયાદ કરાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચકચારી ટી.આર.પી ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય સૂત્રધાર મનાતા રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફ્સિર મનસુખ સાગઠીયાનું અગ્નિકાડની જેમ મહાજમીનકાંડ પણ ખુલ્યું છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકીની સરકારી જમીન યુનિવર્સિટીના સત્તાધીશોની પૂર્વ મંજૂરી લીધા વગર જ રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખને ફાળવી દેતા ખળભળાટ મચ્યો છે. યુનિવર્સિટીએ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરથી માંડી મુખ્યમંત્રી સુધી યુનિવર્સિટીએ લેખિતમાં ફરિયાદ કરી છતાં ભાજપના એક મોટા નેતાના કારણે કાંઈ થતું નથી.
16 કરોડની જમીન અંગે 24 કલાકમાં રિપોર્ટ આપવા ટીપીઓને મ્યુનિ. કમિશનરે આદેશ આપ્યો છે. યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ ડો.કમલ ડોડિયાએ કહ્યું કે લેન્ડગ્રેબિંગ એક્ટ લગાવવાનું તો દૂર પોલીસે યુનિ.ની ફરિયાદ પણ લીધી નથી. પોલીસે કરેલી પૂછપરછમાં સાગઠીયાએ બિલ્ડરોના કૌભાંડો અંગેની કોઈ વિગત પોલીસને આપી હોય કે ન આપી હોય પરંતુ હવે તેને કરેલી જમીન ફાળવણીના કૌભાંડો બહાર આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂર્વ દિશામાં મંજૂર કરવામાં આવેલ રૈયા ગામની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 16 બનાવવામાં આવી હતી.
- Advertisement -
આ ટીપી સ્કીમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીનનો સમાવેશ થતો ન હતો. ત્યારબાદ સરકાર દ્વારા નિમાયેલા નગર રચના અધિકારીએ મ્યુનિસિપલ કમિશનર સાથે પરામર્શ કરીને પ્રિલીમીનરી ટીપી સ્કીમ નંબર 16 સરકારમાં મંજૂરી માટે મોકલી હતી. જે સ્કીમને વર્ષ 2018માં મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા રૈયા ગામના રેવન્યુ સર્વે નંબર 23ના મૂળ ખંડ નંબર 27ના જમીન માલિકોને અંતિમ ખંડ નંબર 27માં યુનિવર્સિટીની માલિકીની અને કબજાની 1542 ચોરસ મીટર જમીન ગત તારીખ 27-4-2021ના રોજ યુનિવર્સિટીને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર, એક તરફી રોજકામ કરીને કબજા ફેરફાર કરી ફાળવી દીધી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જે તે વખતે આ અંગે રજૂઆત કરવામાં આવતા મહાપાલિકાના અધિકારીઓએ લેખિતમાં એવો જવાબ આપ્યો હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીનનો આ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સમાવેશ થતો નથી. ટીપી શાખા દ્વારા જમીનનો કબજો યુનિ. પાસેથી લઈને રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખને સોંપતા બિલ્ડરે 75 મીટરની આરસીસી કમ્પાઉન્ડ વોલ તોડીને પેશકદમી કરેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની માલિકીની જમીનમાં રાજકોટના બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરીને જમીનમાં તોડફોડ કરવામાં આવતા આ મામલાની ફરિયાદ ચાર વખત શિક્ષણ મંત્રીને કરવામાં આવી છે. એટલું જ નહીં શહેરી વિકાસ સચિવ અને મહેસુલ મંત્રીને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.